Site icon Revoi.in

બેચરાજી નજીક ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા બેના મોત, 7ને ગંભીર ઈજા

Social Share

મહેસાણા, 31 માર્ચ 2026: Truck hits pedestrians રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં ચૈત્રી પૂનમે બહુચરાજી માતાજીના દર્શન માટે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને પૂરફાટ ઝડપે આવેલા ટ્રકે અડફેટે લીધો હતો. આ બનાવમાં બે પદયાત્રીઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 7 પદયાત્રીઓને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ચૈત્રી પૂનમના પાવન પર્વે માઁ બહુચરના દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓ અકસ્માતનો ભોગ બન્યા છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસે આવેલા નવા દેલવાડા નજીક 30 માર્ચની મોડીરાત્રે પૂરફાટ ઝડપે ટ્રકચાલકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા બે પદયાત્રીના ઘટનાસ્થળે  મોત નીપજ્યા હતા.  જ્યારે અન્ય સાત શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માતના આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે,  સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામનો 60 લોકોનો પગપાળા સંઘ બહુચરાજીના દર્શન માટે જઈ રહ્યો હતો. ભક્તિમય માહોલમાં માના દર્શનની આશા સાથે આગળ વધી રહેલા આ સંઘને નવા દેલવાડા પાસે રાત્રે 10 વાગ્યા આસપાસ એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં આશરે 9 જેટલા પદયાત્રીઓ ભોગ બન્યા છે, જેમાં ઠાકોર દલપતજી પારખાનજી અને લાલાજી નાગજીજી નામના બે યુવકના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે બતસગજી નાગનીજી ઠાકોર, બળદેવજી દેવસગજી ઠાકોર, મેહુલજી જોહાજી ઠાકોર, જોહોજી જેમલજી ઠાકોર, હેતલ બેન બતસગજી ઠાકોર અને વિમલ બેન જોહજી ઠાકોરને ગંભીર ઈજા થતા સારવાર માટે  પાટણના ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મોડીરાત્રે બનેલી આ ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

આ અકસ્માત બાદ ટ્રકચાલક મદદ કરવાને બદલે સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ બંન્ને યુવકના મૃતહદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનો સોંપવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version