સુરેન્દ્રનગર, 08 માર્ચ 2026: Two youths drown in Narmada Canal લીંબડી તાલુકાના છાલિયા તળાવ પાસેથી પસાર થતી કેનાલમાં નહાવા પડેલા બે યુવકો ડૂબી જતા આજુબાજુના લોકોએ દોડી આવીને પોલીસ તેમજ ફાયરબ્રિગેડને જાણ કરતા તરવૈયાની મદદ લઈને યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જેમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે.
આ બનાવની વિગત એવી છે કે, લીંબડી તાલુકાના છાલિયા તળાવ પાસેથી પસાર થતી કેનાલમાં નહાવા પડેલા બે યુવકો ડૂબી ગયા હતા. કેનાલમાં ડૂબી રહેલા બન્ને યુવાનોને જોતા અને કાંઠે ઊભેલા લોકોએ બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાયટર ટીમ દ્વારા ડૂબેલા બે યુવકો પૈકી એકને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવતા, ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પ્રા
થમિક તપાસમાં જાણવા મળ્યું છે કે. કેનાલમાં ડૂબેલા યુવકનું નામ જયદીપ દિનેશભાઈ વાઢેર છે, જેમની ઉંમર આશરે 20 વર્ષ છે. તેમની શોધખોળ હાલ ચાલી રહી છે. જ્યારે રાહીલ યાસીનભાઈ બેલીમ નામના યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. આ અંગે મૃતક યુવાનના કાકા સલીમ બેલીમે જણાવ્યું હતું કે, આજે શનિવારે બપોરે બેથી ત્રણના ગાળામાં 18થી 20 વર્ષના ચારથી પાંચ યુવાનો છાલીયા તળાવમાં નહાવા ગયા હતા. જેમાંથી બે યુવાનો ડૂબી ગયા હતા. જેમાં મારા ભત્રીજાને બહાર કાઢી હોસ્પિટલ લાવતા એનું મૃત્યુ નીપજતા એને પીએમ રૂમમાં રાખવામાં આવ્યો છે, જયારે બીજા યુવાનની હજી શોધખોળ ચાલુ છે.

