ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધો. 9 અને 11ના પ્રશ્નપત્રો, ગુણભાર નક્કી કરાયાં
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી શિક્ષણ નિતી અંતર્ગત ધોરણ-9 અને 11ના વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર શિક્ષણ નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત તેના આધારે તૈયાર કરેલા નમુનાના પ્રશ્નપત્રો શાળાને મોકલવામાં આવશે. જેના આધારે શાળાઓમાં પ્રિલિમરી સહિતની પરીક્ષાઓ લેશે.
શિક્ષણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી જ નવી શિક્ષણ નિતીની અમલવારી કરી દેવામાં છે. નવી શિક્ષણનીતિ અંતર્ગત પાઠ્યક્રમમાં પણ સુધારા-વધારા કરવામાં આવ્યા છે. તેમજ અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9 અને ધોરણ-11ના સાયન્સના વિષયોના ઘટાડેલા અભ્યાસક્રમના આધારે પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર નક્કી કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિની બેઠકમાં ધોરણ-9ના ગણિત, વિજ્ઞાન, હિન્દી, અંગ્રેજી તથા ઉર્દુ વિષયના પ્રશ્નપત્રોના પરિરૂપ તેમજ ગુણભાર તૈયાર કરાયા છે. તેજ રીતે ધોરણ-11 સાયન્સના ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌત્તિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, હિન્દી અને અંગ્રેજી વિષયનો સમાવેશ થાય છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9 અને 11ના વિષયોના પ્રશ્નપત્રના પરિરૂપ તેમજ પ્રકરણ દીઠ ગુણભાર પ્રથમ અને દ્વિતીય પરીક્ષા માટે તેમજ વાર્ષિક પરીક્ષા માટે નક્કી કર્યું છે. તેના આધારે શિક્ષણ બોર્ડ દ્વારા નમુનાના પ્રશ્નપત્રો તૈયાર કરીને શાળાઓને મોકલવાનો રાજ્યભરના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને શિક્ષણ બોર્ડે આદેશ કર્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ધોરણ 9થી 11ના સાયન્સ સિવાય અન્ય વિષયોના પ્રશ્નપત્રો પણ નવી શિક્ષણનીતિને અનુરૂપ તૈયાર કરાશે. તમામ શાળાઓને પશ્નપત્રો માકલવામાં આવશે. શાળાઓએ સત્રાંત અને પ્રિલિમરી પરીક્ષાઓ પણ તે મુજબ જ લેવાની રહેશે.