કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવશે,અષાઢી બીજે જગન્નાથજીના દર્શન કરશે
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ આગામી તા.11મી જુલાઈના રોજ અમદાવાદ આવશે. શહેરના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરે અષાઢી બીજના દર્શન અને પરિવાર સાથે મંગળા આરતી કરશે. દર વર્ષે અષાઢી બીજની સવારે પરિવાર મંગળા આરતીમાં ઉપસ્થિત થાય છે આ વર્ષે પણ તે પરંપરા નિભાવશે. ગત વર્ષે કોરોના ના કારણે જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી ન હતી. ગત વર્ષે તેવો જગન્નાથજીના મંગળા આરતીના દર્શન કરી શકયા ન હતા.
શહેરમાં રથયાત્રા પૂર્વે યોજાતી જગન્નાથજીની જળયાત્રા ખુબ જ સાદગી અને ઓછી સંખ્યાની સાથે કાઢવામાં આવી હતી . આ જળયાત્રા નીકળવાના કારણે લોકોને ખાસ રથયાત્રા નીકળશે તેવી આશા બંધાઈ છે આ મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રથયાત્રા સંદર્ભે આગામી દસ દિવસમાં કોરોના કેસની સમીક્ષા કર્યા બાદ નિર્ણય કરવામાં આવશે. હજુ સુધી રથયાત્રાને લઈને કોઈ નિર્ણય થયો નથી તેવું તેમણે સ્પષ્ટ્રપણે જણાવ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસનો ગુજરાત પ્રવાસ નક્કી થતાં તેમના મત વિસ્તાર ગાંધીનગરમાં જાહેર કાર્યક્રમોની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, આ વખતે રથયાત્રાને લઈને રાજ્ય સરકાર હજુ સુધી કોઇ નિર્ણય કરી શકી નથી પરંતુ રથયાત્રા કરફ્ર્યુ વચ્ચે કાઢવામાં આવે તેવા સ્પષ્ટ્ર સંકેતો મળી રહ્યા છે. મંત્રી અમિત શાહ તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા આ મુલાકાત દરમિયાન તેમણે સંગઠન અને સરકારની કામગીરીની સમીક્ષા કરી હતી અને તેમના સંસદીય મતવિસ્તારમાં વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત ના કાર્યક્રમો યોજ્યા હતા.
(પ્રતિકાત્મક તસવીર)