અમદાવાદમાં 28 લાખથી વધુ લોકોએ લીધી વેક્સિન, 55 ટકા લોકોએ પહેલો અને 14 ટકાએ બંને ડોઝ લીધા
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના વેક્સિન વધુને વધુ લોકો લે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ વેક્સિનનો પુરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ઘણાબધા લોકોને વેક્સિન લીધા વિના પરત ફરવું પડે છે. જોકે આ સમસ્યાનો ટુંક સમયમાં અંત આવી જશે એવો તંત્ર દાવો કરી રહ્યું છે. અમદાવાદ શહેરમાં 18 વર્ષથી ઉપરની વયના અંદાજીત 42 લાખથી વધુ લોકોએ વેક્સિન લેવાની છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ 29 જૂન સુધીમાં અમદાવાદ શહેરના 28.84 લાખ લોકોએ વેક્સિન લઈ લીધી છે. જેમાં 55 ટકા જેટલા લોકોએ પહેલો ડોઝ લઈ લીધો છે. જ્યારે 14 ટકા લોકોએ બંને ડોઝ લઈ લીધા છે. સૌથી વધુ પશ્વિમ ઝોનમાં સૌથી વધુ 7 લાખ લોકોને રસી અપાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોના વેક્સિનેશનનું મહા અભિયાન 21 જૂનના રોજ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં છેલ્લા નવ દિવસમાં અમદાવાદ શહેરમાં 2,89,948 લોકોએ વેક્સિન લીધી હતી. છેલ્લા ચાર દિવસથી વેક્સિનના ઓછા ડોઝ હોવાથી અમદાવાદમાં વેક્સિનેશન ધીમું થઈ ગયું છે. રોજના ડોઝ ધીરેધીરે વધારવામાં આવી રહ્યા છે. જેથી ઝડપથી અમદાવાદના લોકોને વેક્સિન મળી રહે. વેક્સિનેશન ઝડપથી આગળ વધે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કહેવાય છે કે, વેક્સિનનો પુરતો જથ્થો ફાળવવા કેન્દ્ર સરકારનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. ટુંક સમયમાં વધારોનો વેક્સિનનો જથ્થો મળી જશે.