વેરાવળઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે 11 સપ્ટેમ્બરને રવિવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.. જેમાં અમિત શાહ સૌરાષ્ટ્રના બે જિલ્લાઓ ગીરસોમનાથ અને અમરેલી જિલ્લાનો પ્રવાસ કરશે. શાહ સોમનાથ મંદિરે દર્શન કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફૂંકશે, ત્યારબાદ અમરેલી જિલ્લાની સાત સહકારી સંસ્થાઓના કાર્યક્રમમાં હાજરી આપશે. તેવો સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાના સભ્યો સાથે ચર્ચા કરશે. અમરેલીમાં ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતને લઇને તેમના પ્રવાસ રૂટ ઉપર સુરક્ષા કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.
ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરેલીની સહકારી મંડળીની સામાન્ય સભામાં ઉપસ્થિત રહેશે. જેમાં દબદબાભેર ગૃહમંત્રીને આવકારવામાં આવશે. અમિત શાહના આગમનથી અમરેલીના સહકાર વિભાગનો વિકાસ વેગીલો બનશે. જિલ્લાની સહકારી સંસ્થાઓ દ્વારા સહકારથી સમૃઘ્ધિ નિયમ નીચે તમામ લોકોને રોજગારી મળે તેવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છે, અને આગામી દિવસોમાં વધુમાં વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થાય તે માટે વધુ પ્રયાસો કરાશે. અમરેલી જિલ્લામાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આવી રહ્યા હોવાથી જિલ્લા ભાજપ, જિલ્લા સહકાર ટીમ, વિવિધ સહકારી મંડળી, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત દ્વારા કેન્દ્રીય સહકાર મંત્રીનાં સ્વાગત, આયોજન માટે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
ગુજરાતમાં ચૂંટણી પડઘમ વાગી રહ્યા છે ત્યારે અવાર નવાર વડાપ્રધાન મોદીથી માંડીને કેન્દ્રીય કક્ષાના વરિષ્ઠ નેતાઓની ગુજરાત મુલાકાતમાં વધારો થયો છે. વિવિધ પક્ષોના નેતાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતની જનતાને આકર્ષવા માટે વારંવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. અમિત શાહ આજે રવિવારે સોમનાથ દાદાના દર્શન કરીને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. ગિર સોમનાથ સહિત સોરઠ પંથકના ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ અમિત શાહના આગમન ટાણે હાજર રહેશે.