બાળકોને બાળપણથી જ ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તે દિશામાં કાર્ય કરવાની અપીલ કરતા કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી
ગાંધીનગર:દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૨મા જન્મદિવસ નિમિતે પથ વિજય ભગવાન ધર્મચક્ર ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તથા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ઉમરા દિવ્યાંગ ભવન ખાતે આયોજિત ૧૪માં મેડિક્લ કેમ્પમાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ સહભાગી થયા હતા.
આ કેમ્પમાં ધો. ૧ થી ૧૨માં અભ્યાસ કરતાં ૪૦૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરી સારવાર પુરી પાડવામાં આવી હતી. ઉપરાંત ૭૨ દિવ્યાંગ વિદ્યાર્થીઓને મંત્રીના હસ્તે ૩૦ વ્હીલચેર, ૩૦ ટ્રાઈસિકલ અને ૧૨ વોકર અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતુ કે,આજનો યુગ સ્પર્ધાનો યુગ છે. આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયેલી હરિફાઈને સકારાત્મક સ્વરૂપમાં લેવામાં આવે તો તે આશીર્વાદ સમાન નીવડે છે અને વ્યક્તિને બહેતર જીવન પ્રદાન કરે છે. જ્યારે હરિફાઈ નકારાત્મક સ્વરૂપમાં લેવામાં આવે તો તે તણાવ, દુઃખ અને નકારાત્મકતાનું કારણ બની શકે છે. નાનપણથી જ બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તે માટે સૌએ સાથે મળીને કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.
વધુમાં મંત્રીએ કહ્યુ હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દિવ્યાંગો માટે અનેક યોજના અમલી બનાવી છે જેનો દિવ્યાંગજનોએ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. મંત્રીએ દિવ્યાંગ વિદ્યાર્થીઓને કેક ખવડાવી વડાપ્રધાનજીના જન્મ દિવસની ઉજવણી કરી હતી.