ઉત્તરાખંડઃ સમાન નાગરિક સંહિતા મુદ્દે ધામી સરકારે કમિટીની રચના કરી
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી સમાન નાગરિક સંહિતાને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. દરમિયાન કેટલાક સમુદાયના લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે ઉત્તરાખંડમાં નવી ચૂંટાયેલી ભાજપની ધામી સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતાને લઈને કવાયત શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરાખંડના મુખ્યમંત્રી ઉધમસિંહનગરમાં એક કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી પુષ્કર ધામીએ કહ્યું હતું કે, રાજ્યમાં સરકાર બન્યા બાદ અમે સૌ પ્રથમ સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે કમિટીની રચના કરવાનો નિર્ણય લીધો છે. કમિટી આ અંગેનો ડ્રાફ્ટ તૈયાર કરશે. જેના આધાર પર દેશમાં સૌ પ્રથમવાર ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે. ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભાજપની જીત થઈ હતી. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી છે. મુખ્યમંત્રી બન્યા બાદ પુષ્કર ધામીએ કોમન સિવિલ કોડને લઈને નિવેદન કર્યું હતું. એટલું જ નહીં તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના નાયબમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પણ કોમન સિવિલ કોડને લઈને નિવેદન આપ્યું હતું. બીજી તરફ કેન્દ્ર સરકાર પણ કોનલ સિવિલ કોડ લાગવાની તૈયારી કરતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, કેટલાક સમુદાયના લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે.