
પશ્ચિમ બંગાળઃ વિધાનસભા ચૂંટણી પહેલા BJPમાં જોડાયેલા TMCના 30 નેતાઓની ઘરવાપસીની ઈચ્છા, મમતાનો નનૈયો
- ટીએમસીના પૂર્વ નેતાએ મમતાને લખ્યો પત્ર
- પત્ર લખીને મમતાની માગી માફી
- ભાજપમાં જોડાવવાનો નિર્ણય ખોટો હોવાનું કહ્યું
દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપની વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. વિધાનસભાની ચૂંટણી પૂર્વે ટીએમસીના કેટલાક નેતાઓ ભાજપમાં જોડાયાં હતા. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીનો વિજય થયો હતો અને મમતા બેનર્જી ફરી મુખ્યમંત્રી બન્યાં હતા. હવે ભાજપમાં જોડાયેલા 30 જેટલા નેતાઓએ ઘરવાપસી એટલે કે ટીએમસીમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે, મમતા બેનર્જી આ નેતાઓને પાર્ટીમાં ફરીથી સામેલ કરવાના મૂડમાં નહીં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા જ ટીએમસીના કેટલાક નેતાઓ મમતાનો સાથ છોડીને ભાજપમાં જોડાયાં હતા. વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા એક-બીજા આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવ્યાં હતા. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીનો વિજય થયો હતો. જેથી ભાજપમાં જોડાયેલા ટીએમસીના કેટલાક નેતાઓ હવે પરત આવવા માંગે છે. ટીએમસીના પૂર્વ ધારાસભ્ય દીપેંદુ બિશ્વાસે મમતાને પત્ર લખીને માફી માગી હતી. ટીએમસીની ટિકિટ ન મળવાથી તેઓ ભાજપમાં સામેલ થઇ ગયા હતા.
બિસ્વાસે પત્રમાં કહ્યું હતું કે ટીએમસીને છોડી દેવાનો નિર્ણય ભાવનાત્મક અને બહુ જ ખોટો હતો અને હું પરત ટીએમસીમાં જોડાવવા માગુ છું. અન્ય નેતાઓ કે જેઓ ભાજપમાં જોડાયા અને હવે ટીએમસીમાં પરત આવવા માગે છે તેમાં ટીએમસી ધારાસભ્ય સોનાલી ગુહાનો પણ સમાવેશ થાય છે.