1. Home
  2. ગુજરાતી
  3. દર્દીઓ ગમે તે વાહનમાં હોસ્પિટલમાં પહોંચે દાખલ કેમ કરાતા નથીઃ HC સરકારની ઝાટકણી કાઢી
દર્દીઓ ગમે તે વાહનમાં હોસ્પિટલમાં પહોંચે દાખલ કેમ કરાતા નથીઃ HC સરકારની ઝાટકણી કાઢી

દર્દીઓ ગમે તે વાહનમાં હોસ્પિટલમાં પહોંચે દાખલ કેમ કરાતા નથીઃ HC સરકારની ઝાટકણી કાઢી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો PIL પર સુનાવણી હાથ ધરીને રાજ્ય સરકારે દર્શાવેલી વિગતો સામે સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરી હતી. ગત સપ્તાહે હાઈકોર્ટના આદેશને પગલે આજે ગુજરાત સરકારે વર્તમાન પરિસ્થિતિ અને તેમાં પોતે લીધેલા પગલાં અંગે સોગંદનામું ફાઈલ કર્યું હતું. જેમાં કરાયેલા દાવાઓની હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ તથા જસ્ટિસ ભાર્ગવ ડી કારિયાની બેન્ચે ઝાટકણી કાઢી હતી. બેન્ચે કહ્યું હતું કે, સરકારની એફિડેવિટ જમીની વાસ્તવિકતાથી જોજનો દૂર છે. તમે ઓક્સિજનની વ્યવસ્થાની વાતો કરો છો પણ લોકોએ ઓક્સિજન મેળવવા 10 ગણી કિંમત ચૂકવવી પડે છે. સરકાર તો માત્ર ફૂલગુલાબી ચિત્ર રજૂ કરે છે, પરંતુ દર્દીઓને બેડ નથી મળતા એ આજની વરવી વાસ્તવિકતા છે. આ કેસની આગામી સુનાવણી 4 મેએ યોજાશે.

એક તબક્કે સુનાવણી દરમિયાન હાઈકોર્ટની બેન્ચે ફક્ત 108માં જતા દર્દીઓને જ દાખલ કરવાની વૃત્તિ અંગે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. બેન્ચે કહ્યું હતું કે, દર્દી ગમે તે વાહનમાં હોસ્પિટલે જાય તેનું શું મહત્ત્વ છે. પરંતુ ફરજ પરના તબીબ એવું કહી જ કેવી રીતે શકે કે, તમે 108ની એમ્બુલન્સમાં નથી આવ્યા માટે અમે તમને સારવાર નહીં આપીએ પછી ભલેને તમે મરી જાવ. આવું તે કઈ રીતે ચાલે, હોસ્પિટલમાં દર્દી પહોંચે તે મહત્ત્વનું છે કયા વાહનમાં જાય છે તે નહીં. વિડિયો કોન્ફરન્સથી યોજાયેલી સુનાવણીમાં જ્યારે સિનિયર કાઉન્સિલ શાલીન મહેતાએ લોકડાઉનની વાત કરી તો કોર્ટે કહ્યું હતું કે આ જર્મની કે લંડન નથી, આ ઇન્ડિયા છે. અહીં એક દિવસનું જમવાનું જેને ન મળે તેને લોકડાઉન શું છે તે સમજાય. લોકડાઉન એ કોઈ વિકલ્પ નથી. જનતાએ જાતે ઘરમાં રહેવું જોઈએ.

હાઈકોર્ટની ગત ઓનલાઈન સુનાવણીમાં સરકારે કોરોનાની સ્થિતિ, રેમડેસિવિર તેમજ ઓક્સિજનની અછતને પહોંચી વળવામાં સરકાર સક્ષમ છે એવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે સિવિલ સહિતની હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા તેમજ ઓક્સિજની અછતને લઈને સરકાર પાસે જવાબ માગ્યા હતા. જસ્ટિસ કારિયાએ એમ પણ કહ્યું હતું કે, અત્યારે ઓક્સિજનની કેટલી અછત છે અને લોકોએ 10 ગણી વધુ કિંમત ચૂકવવી પડે છે. આવું ન થવું જોઈએ, તમે બધી કાગળ પરની વાતો કરો છો પણ હકીકત અલગ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code