અમદાવાદઃ ગુજરાતમાં 72 કલાક દરમિયાન વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેથી કાળઝાળ ગરમીમાં ત્રાહીમામ પોકારી ઉઠેલા લોકોને આંશિક રાહત મળશે. વાવાઝોડાની અસર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે… ભારે પવનની સાથે વરસાદ પડે તેવી પણ શકયતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં ત્રણ દિવસ સુધી વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ પવનની ગતિ 30 થી 40 કિલોમીટરની પ્રતિકલાક ઝડપ રહેવાની શકયતા છે. જેની અસર અમરેલી, સાબરકાંઠા, અરવલ્લી, સૂરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં જોવા મળી શકે છે.
સર્કયુલેશન સિસ્ટમના કારણે ભેજના પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે આગામી ત્રણ દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળશે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓની ઉડવાની અને વરસાદની આગાહી કરવામાં આવી છે. વાતાવરણ પલટાને કારણે લોકોને ગરમીમાં આશિંક રાહત મળશે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતાઓ છે. 72 કલાક બાદ ફરીથી ગરમીમાં વધારો થઈ શકે છે.