Site icon Revoi.in

વિરાટ કોહલી અત્યાર સુધીનો સૌથી મહાન વન ડે ક્રિકેટર: માઈક્લ ક્લાર્ક

Social Share

નવી દિલ્હીઃ ‘ચેઝ માસ્ટર’ વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને શાનદાર જીત અપાવી છે. દુબઈ ખાતે રમાયેલી સેમી ફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ મહત્વપૂર્ણ રીતે બેટિંગ કરી હતી અને ટીમને વિજય તરફ દોરી ગયો હતો, ત્યારે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર માઈકલ ક્લાર્કે તેના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી અને તેને સર્વકાલીન મહાન ODI ક્રિકેટર ગણાવ્યો હતો.

ઓસ્ટ્રેલિયા સામે ICC નોકઆઉટમાં સૌથી મોટા લક્ષ્યનો પીછો કરવા માટે કોહલી ક્રીઝ પર આવ્યો અને શાનદાર સ્ટ્રોક પ્લે અને બુદ્ધિશાળી સ્ટ્રાઇક રોટેશન દ્વારા વિજયનું અંતર ઘટાડ્યું હતુ. સમગ્ર ઈનિંગ દરમિયાન વિરાટ કોહલીએ માત્ર પાંચ જ બાઉન્ડ્રી ફટકારી હતી, જો કે, તે મુશ્કેલ સમયમાં પણ સ્ટ્રાઈક રોટેશન કરીને રન બનાવી રહ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરે વિરાટ કોહલી અંગે જણાવ્યુ હતુ કે, “ફરી એક વાર વિરાટ કોહલીએ પરિસ્થિતિનું શાનદાર મૂલ્યાંકન કર્યું. મુશ્કેલ સમયમાં તે જાણતો હતો કે, તેની ટીમને શું જોઈએ છે અને તેમને મેચ જીતવાની સ્થિતિમાં કેવી રીતે લઈ જવી. પાકિસ્તાન સામેની તેની સદીમાં આપણે જોયું કે, વિરાટ પાસે દરેક શોટ છે , બાઉન્ડ્રી મારવાની તેની ક્ષમતા વિશે કોઈ પ્રશ્ન નથી. મારા મતે, તે સર્વકાલીન મહાન ODI ક્રિકેટર છે, અને તે સૌથી મોટા મંચ પર સૌથી વધુ દબાણ હેઠળ પણ પોતાનું શાનદાર પ્રદર્શન દર્શાવે છે. તે જાણે છે કે શું કરવું, અને જ્યારે ટીમને સૌથી વધુ જરૂર હોય છે ત્યારે તે સફળ થાય છે”

જોકે, જો શ્રેયસ ઐયરનો ટેકો ન મળ્યો હોત તો કોહલીની ઈનિંગ અપૂરતી સાબિત થઈ શકી હોત. પાવર પ્લેમાં શુભમન ગિલ અને રોહિત શર્માના આઉટ થયા પછી રાઈટ હેંડ બેટ્સમેને ક્રીઝ પર સારી એવી બેટિંગ કરી. ક્લાર્કે ઐયરની ઇનિંગની પ્રશંસા કરતા જણાવ્યું હતુ કે, “સ્પિન-ફ્રેન્ડલી દુબઈ પીચ પર વધુ વિકેટો પડવાથી ટીમનું પતન થઈ શક્યું હોત, તેથી ભાગીદારીની તાત્કાલિક જરૂર હતી અને ઐયરે જ કોહલી સાથે ત્રીજી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી અને ફરી એકવાર ODI સેટ-અપમાં ટોચના ક્રમ માટે વિશ્વસનીય વિકલ્પ સાબિત થયો હતો”

તેમણે વધુમાં કહ્યું, “શ્રેયસ ખરેખર સારું રમ્યો. તેની પાસે આક્રમક અભિગમ અને મહાન ઇરાદો છે અને તે હંમેશા તેના શોટ રમવાનો પ્રયાસ કરે છે, જે તેના બેટિંગ પાર્ટનર પર રનનું દબાણ ઘટાડે છે. તે અને વિરાટ કોહલી એકબીજાના પૂરક છે. વિરાટ અનુભવને કારણે શ્રેયસને માર્ગદર્શન આપી શકે છે અને જરૂર પડ્યે તેને શાંત રાખી શકે છે. તેમની ભાગીદારી મેચ વિજેતા રહી, તેમાં કોઈ શંકા નથી.” “ઓસ્ટ્રેલિયા થોડી વિકેટ લેવામાં સફળ રહ્યું અને જો તેઓ તે ભાગીદારી પહેલા તોડી નાખત, ખાસ કરીને વિરાટને આઉટ કર્યો હોત, તો રમત સંપૂર્ણપણે અલગ હોત. પરંતુ ભારતના ખેલાડીઓ અપવાદરૂપે સારું રમ્યા,”

Exit mobile version