ગાંધીનગર , 28 મે, 2026 : રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અને ચોમાસાના વિધિવત આગમનને હવે પખવાડિયાથી વધુ સમય બાકી રહ્યો છે. ત્યારે રાજ્યના 207 જળાશયોમાંથી 147 જળાશયોમાં 50 ટકાથી ઓછો ફાણીનો પુરવઠો બચ્યો છે. એટલે જો મેઘરાજાના આગમનમાં વિલંબ થશે તો પાણીની સમસ્યા સર્જાવવાની દહેશત છે. જોકે સરદાર સરોવર નર્મદા ડેમમાં પુરતી જળરાશી ઉપલબ્ધ છે.
ગુજરાતમાં ઉનાળાની સીઝન પૂર્ણ થવાના આરે છે, ત્યારે રાજ્યમાં 207માંથી 147 જળાશયો અડધાથી વધુ ખાલી થઈ ગયા છે. ગુજરાતમાં ચોમાસાના આગમનની તારીખ 15મી જૂન છે અને ગત વર્ષે 16મી જૂને મેઘરાજા પધાર્યા હતા. જોકે, આ વર્ષે બંગાળની ખાડી અને આંદામાન દરિયામાં ચોમાસાની ગતિની શરૂઆત ખૂબ જ ધીમી રહેતા ચોમાસું અનિશ્ચિત બન્યું છે. જો ચોમાસું વધુ ખેંચાય અને જુલાઈ મહિનામાં જળાશયોમાં ધોધમાર પાણીની આવક શરૂ ન થાય, તો રાજ્યમાં ગંભીર જળસંકટ ઊભું થઈ શકે છે.
રાજ્યના સિંચાઈ વિભાગના સૂત્રોના કહેવા મુજબ રાજ્યના જળસંગ્રહના આંકડાઓ અત્યંત ચિંતાજનક ચિત્ર રજૂ કરી રહ્યા છે. ગુજરાતના કુલ 207 ડેમોમાંથી 147 ડેમો અત્યારે અડધા કે તેથી વધુ ખાલી થઈ ચૂક્યા છે. માત્ર 12 ડેમો જ એવા છે જ્યાં 70%થી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે. ઉનાળાના બે માસ દરમિયાન આ ડેમોમાંથી 18.46 ટકા પાણીનો વપરાશ થયો છે. પાણીની તંગીની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં હવે માત્ર 34.91% એટલે કે 31,915 MCFT પાણી જ બચ્યું છે. ઉનાળાના બે મહિનામાં આ ડેમોમાંથી 18.46% પાણી વપરાઈ ગયું છે. સૌરાષ્ટ્રના 10 ડેમો તો અત્યારથી જ સંપૂર્ણ સુકાઈને મેદાન બની ગયા છે, એટલે કે ત્યાં 0% પાણી છે. કચ્છના 20 ડેમોમાં ગત 27મી માર્ચે જ વોટર સ્ટોરેજ 40%થી નીચે સરકી ગયો હતો અને આ ટૂંકા ગાળામાં વધુ 8% પાણી ઘટ્યું છે. આજે કચ્છના તમામ ડેમોમાં થઈને માત્ર 32.40% જળસંગ્રહ બાકી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 161 ડેમો હાલમાં 65%થી વધુ ખાલી થઈ ગયા છે, જેને કારણે આ વિસ્તારોમાં નર્મદાના નીર પરની નિર્ભરતા ખૂબ વધી ગઈ છે.

