ગુજરાતમાં 250 નવા ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવશે
અમદાવાદઃ પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે અનેકવિધ પશુ કલ્યાણકારી પ્રયાસો હાથ ધર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં શરૂ કરેલી પશુ આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશુ સારવાર માટેની મહત્વપૂર્ણ યોજના ‘10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના‘ અંતર્ગત રાજ્યમાં ચાલુ વર્ષે EMRI-GHS મારફતે 250 નવા ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવશે.
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત આજે દરેક ક્ષેત્રે અગ્રીમ હરોળ તરફ આગળ વધી રહ્યું છે. પશુપાલન ક્ષેત્રે પણ ગુજરાત હરહંમેશ અગ્રેસર રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહામૂલા પશુધન માટે ઘર આંગણે પશુ ચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ‘10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના‘ યોજના હેઠળ ગુજરાતમાં કાર્યરત 460 મોબાઈલ પશુ દવાખાના થકી અત્યારે 5,300 થી વધુ ગામના પશુઓને વિનામૂલ્યે સારવાર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
રાજ્યના મહત્તમ ગામડાઓને આ સેવાનો લાભ મળે તે માટે નવા ફરતા પશુ દવાખાના શરૂ કરી વધુ ગામડાઓને આવરી લેવાની રાજ્ય સરકારની નેમ છે. આ નેમને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ચાલુ વર્ષ 2023-24માં જ નવા ૨૫૦ ફરતા પશુ દવાખાના શરૂ કરવાનો રાજ્ય સરકાર દ્વારા પશુ હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. જે પૈકીના 200 નવીન ફરતા પશુ દવાખાના બિન-આદિજાતિ વિસ્તારમાં અને 50 નવીન ફરતા પશુ દવાખાના આદિજાતિ વિસ્તારમાં શરૂ કરવામાં આવશે. જેના માટે કુલ રૂ. 17.75 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
પશુપાલન મંત્રીએ વધુમાં જણાવ્યું કે, નવા 250 ફરતાં પશુ દવાખાનાના માધ્યમથી રાજ્યના વધુ 2,500 જેટલા ગામના પશુઓને ઈમરજન્સીમાં ઓન કોલ 1962 નંબર પર ફોન કરવાથી ઘર આંગણે જ પશુ સારવારની સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. ગામોમાં આ સેવા ઘરબેઠા ઉપલબ્ધ થવાથી જે તે વિસ્તારમાં પશુચિકિત્સા સેવાના વ્યાપમાં પણ વધારો થશે. કુદરતી હોનારત અને રોગચાળો ફાટી નીકળે તેવી વિકટ સ્થિતિમાં પણ રોગચાળા નિયંત્રણની કામગીરી માટે આ ફરતાં પશુ દવાખાના ઉપયોગી સાબિત થશે.