
પાટણ-રાધનપુર હાઈવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 4નાં મોત, 6 પ્રવાસી ઘવાયા
પાટણઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પાટણ-રાધનપુર હાઈવે પર સર્જાયો હતો. ખારિયા પુલ નજીક એસટી બસ-ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર સહિત કુલ 4 વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં 6 લોકો ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પાટણ-રાધનપુર હાઈવે પર ખારિયા પુલ પાસે આણંદથી રાપર જતી એસ.ટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. જેથી 4 લોકોના મોત થયા છે. બસના ડ્રાઈવર અને કંડક્ટર તેમજ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરે જીવ ગુમાવ્યો છે. જ્યારે બસમાં સવાર 6 મુસાફરોને ઈજા પહોંચી છે. જેથી ઈજાગ્રસ્તોને રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મધરાત્રે બનેલી ઘટનાથી હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યો હતો.
આ અકસ્માતના બનાવોની વિગતો એવી જાણવા મળી છે. કે, રાધનપુરના ખારિયા નદીના પુલ પાસે રાપરિયા હનુમાનથી આગળના માર્ગ પર રાત્રે 2:00 વાગ્યાની આસપાસ આણંદથી રાપર જતી એસ.ટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેથી બસ અને ટ્રક બન્નેના ડ્રાઈવર સહિત ચાર લોકોના મોત થયા હતા. જ્યારે બસમાં સવાર મુસાફરો પૈકી 6 મુસાફરો ઈજાગ્રસ્ત થતા તમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતના પગલે મધરાત્રે હાઈવે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઊઠી હતી.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ એસટી અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી ભયંકર હતી કે, બસ અને ટ્રકના આગળના ભાગનો ફૂરચો બોલી ગયો હતો. તેમજ બન્ને વાહનોને અલગ કરવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી હતી. અકસ્માતના બનાવની જાણ પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓને થતાં તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બન્ને અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી છૂટાં પાડ્યાં હતાં. જ્યારે ઇજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર માટે પાટણ અને મહેસાણા અમરજીવન સમર્પણની એમ્બ્યુલન્સ વાનમાં રવાના કરવામાં આવ્યા હતા. બીજી તરફ અકસ્માતના પગલે હાઇવે પરના બંને માર્ગો પર વાહનોનો ચક્કાજામ થયો હતો. હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી અન્ય વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પોલીસે ઘટના સ્થળે પહોંચીને માર્ગ પરનો ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.