ભાજપને આપેલો પ્રત્યેક વોટ વિકસિત ભારતના સંકલ્પને મજબૂત બનાવશેઃ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
ગાંધીધામ, 16 એપ્રિલ, 2026 – ભાજપને આપેલો પ્રત્યેક વોટ વિકસિત ભારતના સંકલ્પને મજબૂત બનાવશે તેમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી અંતર્ગત ભાજપા ઉમેદવારોના સમર્થનમાં કચ્છ જિલ્લાના અબડાસા અને ગાંધીધામ ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’ને તેઓ સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કચ્છની વિકાસયાત્રા અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વિશે ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું કે, 2001ના ભૂકંપ બાદ જે કચ્છને બેઠું કરવું અઘરું જણાતું હતું, તે કચ્છ આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન અને નેતૃત્વ તેમજ કચ્છના નાગરિકોના અતૂટ પરિશ્રમને કારણે ધમધમતું થયું છે. કચ્છની વિકાસયાત્રા અવિરત આગળ વધી રહી છે. વડાપ્રધાન હંમેશા જે કહે છે તે કરે છે અને તે જ કારણે તેમના પ્રતિ જનતાનો વિશ્વાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. નરેન્દ્રભાઇ ક્યારેય નાનું વિચારતા નથી, અને તેમની આ જ કાર્યશૈલીને લીધે આજે કચ્છના ઘરે-ઘરે નર્મદાના નીર પહોંચ્યા છે.

કચ્છના પ્રવાસન ક્ષેત્રની સફળતાનો ઉલ્લેખ કરતા શ્રી પટેલે જણાવ્યું કે, સફેદ રણ અને ધોરડોને ગ્લોબલ ટુરિઝમ મેપ પર સ્થાન અપાવી વડાપ્રધાને સાબિત કર્યું છે કે દૂરંદેશી નેતૃત્વ કોને કહેવાય. જી-20 જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટનું આયોજન પણ આ ભૂમિ પર થયું તે ગૌરવની વાત છે. શિક્ષણ ક્ષેત્રે સરકારની કટિબદ્ધતા દર્શાવતા તેમણે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી યોજનાઓ વિશે માહિતી આપી હતી. વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, કોવિડ જેવી વૈશ્વિક મહામારીમાં પણ ગુજરાતનો વિકાસ અટક્યો નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય અટકશે નહીં. આયુષ્માન કાર્ડ જેવી વિશ્વની સૌથી શ્રેષ્ઠ આરોગ્ય યોજના થકી ગરીબ અને મધ્યમ વર્ગને મફત સારવાર મળી રહી છે.
આ પણ વાંચોઃ GCCI પ્રેરિત ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પોનો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ
વિપક્ષો પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, માત્ર ખોટી બૂમો પાડવાથી કશું થતું નથી, તે માટે યોગ્ય આયોજન સાથે કાર્ય કરવું જરૂરી છે, જે ભાજપાએ કરી બતાવ્યું છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલા વાઇબ્રન્ટ ગુજરાતના ફળસ્વરૂપે 2001માં જે MSMEની સંખ્યા 1.83 લાખ હતી તે આજે 27 લાખને પાર થઈ છે. પર્યાવરણ અને જળ સંરક્ષણ માટે ‘કેચ ધ રેઈન’ અભિયાનની સફળતા અને સ્વચ્છતા અંગે જણાવ્યું હતું કે વ્યક્તિગત રીતે કરેલા નાના પ્રયાસ પણ મોટા પરિવર્તન લાવી શકે છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 26 એપ્રિલે ભાજપાના ઉમેદવારોને જંગી મતોથી વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું અને જણાવ્યું હતું કે ભાજપાને આપેલો પ્રત્યેક વોટ વિકસિત ભારતના સંકલ્પને મજબૂત બનાવશે.
આ પ્રસંગે રાજ્યસરકારના મંત્રીશ્રી કાંતિભાઇ અમૃતિયા, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી દેવજીભાઇ વરચંદ, ધારાસભ્યો, પ્રદેશ સહ પ્રવકતાશ્રી મનજીભાઇ આહિર, સંગઠનના પદાધિકારીઓ, સિનિયર આગેવાનો, અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.


