સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે પક્ષની પ્રચાર સામગ્રી-સાહિત્યનું નિદર્શન
ગાંધીનગર, 15 એપ્રિલ, 2026 – સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી અંતર્ગત ભાજપાની ચૂંટણી પ્રચાર સામગ્રી અને સાહિત્યનું આજે નિદર્શન કરવામાં આવ્યું હતું. પક્ષના મીડિયા વિભાગની એક અખબારી યાદી જણાવ્યા મુજબ, પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવકતા ડૉ. અનિલભાઈ પટેલે પત્રકાર પરિષદ સંબોધતા આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં જનતા તરફથી ભારતીય જનતા પાર્ટીને વિશાળ જનસમર્થન મળી રહ્યું છે. વિકાસ, સુશાસન અને જનકલ્યાણના કાર્યોના આધારે જનતાના વિશ્વાસ સાથે ભાજપા ચૂંટણી પ્રચારમાં અગ્રેસર બની રહી છે. જનસમર્થન ભાજપને, જનસમર્થન વિકાસને સૂત્ર જનતાના મૂડ પરથી ચરિતાર્થ થતું જોવા મળી રહ્યું છે.

તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પ્રચાર પ્રસાર અંતર્ગત ડોર ટુ ડોર જનસંપર્ક, ડિજીટલ પ્રચાર તેમજ ગીત- સંગીત દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર તેમજ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકારની લોકહિતની અને વિકાસની કામગીરી તથા જનકલ્યાણકારી યોજનાઓની માહિતી નાગરિકો સુધી પહોંચાડતી હોય છે. કુલ ત્રણ તબક્કામાં ચાલનારું ભાજપાનું પ્રચાર અભિયાન હાલ બીજા તબક્કામાં છે, પ્રથમ તબક્કો ઉમેદવારી ફોર્મ ભર્યા પૂર્વે પૂર્ણ થયો અને ત્રીજો તબક્કો મતદાન સુધી પૂર્ણ થશે.
આ પણ વાંચોઃ જુઓ VIDEO: ઉત્તરપ્રદેશમાં બે દિવસમાં મહિલાઓ સહિત 10,000થી વધુ દલિતોએ જનોઈ ધારણ કરી
આ વખતે પણ વિવિધ પ્રકારની ચૂંટણી પ્રચાર સામગ્રી ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયાર કરાઈ છે જેમાં પ્રચાર સાહિત્ય પત્રિકા, યોજનાઓ અને વિકાસકાર્યોની માહિતી સાથેના બેનર સાથે કમળના નિશાન સાથેની નાના બાળકો માટેની વસ્તુઓથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ ઉપયોગમાં લઇ શકે તેવી વૈવિધ્યસભર સામગ્રી તૈયાર કરવામાં આવી છે. આ તમામ પ્રચાર પ્રસાર સાહિત્યને તમામ સ્થળોએ ભાજપાના પ્રચાર અભિયાનને વેગ આપવા માટે ઉપયોગમાં લેવાશે.
બુથ સ્તર સુધીની ભાજપાની મજબૂત સંગઠનશક્તિ સાથે ભાજપાનું ચૂંટણી અભિયાન પ્રભાવી રીતે ચાલી રહ્યું છે ત્યારે વિકાસકાર્યોના રિપોર્ટ કાર્ડના આધારે ગુજરાતની જનતા ફરી એક વખત ભાજપાને આશીર્વાદ આપશે તેવો ડૉ. અનિલભાઈ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રેસવાર્તામાં ચૂંટણી પ્રચાર પ્રસાર વિભાગના ઇન્ચાર્જશ્રી અતુલભાઈ ભાવસાર અને પ્રદેશ સહ પ્રવકતાશ્રી ઘનશ્યામભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.


