તબીબી ક્ષેત્ર માત્ર વ્યવસાય નહીં, માનવતાની સેવા કરવાનો માર્ગ છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
નાગપુર, 15 એપ્રિલ 2026: ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે મહારાષ્ટ્રના નાગપુર ખાતે પ્રતિષ્ઠિત સંસ્થા એમ્સ નાગપુરના પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી. યુવા તબીબોને સંબોધતા રાષ્ટ્રપતિએ તબીબી વ્યવસાયમાં ટેકનોલોજીની સાથે માનવીય સંવેદના અને નૈતિક મૂલ્યોના મહત્વ પર ભાર મૂક્યો હતો.
રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, “તબીબી ક્ષેત્ર એ માત્ર આજીવિકા મેળવવાનો વ્યવસાય નથી, પરંતુ તે સંવેદનશીલતા સાથે માનવતાની સેવા કરવાનો પવિત્ર માર્ગ છે. એક ડૉક્ટર માત્ર શારીરિક વ્યાધિઓની સારવાર નથી કરતા, પરંતુ દર્દી અને તેના પરિવારમાં આશાનો સંચાર પણ કરે છે.” તેમણે ઉમેર્યું કે ડૉક્ટરોએ પડકારજનક સ્થિતિમાં પણ ધીરજ અને સંવેદનશીલતા જાળવવી જોઈએ, જ્યારે દર્દીઓ અને તેમના પરિવારોએ પણ તબીબી વ્યાવસાયિકો પ્રત્યે સન્માનપૂર્વક વર્તવું જોઈએ જેથી વિશ્વાસનું બંધન અતૂટ રહે.
રાષ્ટ્રપતિએ દેશના વિકાસમાં નાગરિકોના સ્વાસ્થ્યના મહત્વનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારત સરકારે છેલ્લા 10 વર્ષમાં આ દિશામાં અનેક અભૂતપૂર્વ પગલાં લીધાં છે. દેશભરમાં નવી એમ્સની સ્થાપના થવાથી સામાન્ય નાગરિકો માટે ઉચ્ચ કક્ષાની સારવાર સુલભ બની છે અને તબીબી શિક્ષણની તકોમાં મોટો વધારો થયો છે. તેમણે ટૂંકા ગાળામાં જ સંશોધન અને સેવામાં અગ્રેસર રહેવા બદલ એમ્સ નાગપુરની પ્રશંસા કરી હતી.
વર્તમાન સમયને હેલ્થકેર ક્ષેત્રમાં પરિવર્તનનો યુગ ગણાવતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ સેવાઓ જેવી નવી ટેકનોલોજીનો સ્વીકાર કરવો અનિવાર્ય છે. ટેકનોલોજીના માધ્યમથી ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચેની આરોગ્ય સુવિધાઓની ખાઈ પૂરી શકાય છે. જોકે, ટેકનોલોજી ગમે તેટલી અદ્યતન બને, તે ક્યારેય કરુણા, અખંડિતતા અને દર્દી-કેન્દ્રી અભિગમનું સ્થાન લઈ શકતી નથી.
યુવા ડૉક્ટરોને શીખ આપતા તેમણે જણાવ્યું કે, જિજ્ઞાસા એ પ્રગતિનો પાયો છે અને તબીબોએ આજીવન શીખતા રહેવાની પ્રતિબદ્ધતા કેળવવી જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ યુવા તબીબોના પુરુષાર્થ થકી જ ભારત તેની આઝાદીના શતાબ્દી વર્ષ (2047) સુધીમાં ‘વિકસિત ભારત’ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશે.
આ પણ વાંચોઃ ઈરાને ચીની જાસૂસી સેટેલાઈટની મદદથી પશ્ચિમ એશિયામાં અમેરિકી સૈન્ય મથકોની કરી જાસૂસી


