ભરૂચઃ કરજણના માંડણ ગામે આવેલી નર્મદા નદીમાં ભરૂચના એક જ પરિવારના પાંચ સભ્યોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. ભરૂચમાં રહેતો આ પરિવાર માંડણના નદી કિનારે ફરવા માટે આવ્યો હતો. ત્યારે તેઓ નદીમાં ડૂબ્યા હતા. જો કે, રવિવારની મોડી સાંજે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યોના મૃતદેહ સોમવારે મળી આવ્યા છે. એક જ પરિવારના પાંચ સભ્યોના ડૂબી જવાથી મોત થતા પરિવારમાં પણ ભારે શોક છવાયો છે. પોલીસે પાંચેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી..
સૂત્રોમાંથી આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, રાજપીપલા ડેડીયાપાડાના મુખ્ય માર્ગ પર માંડણ ગામ પાસેથી પસાર થતી નર્મદા નદી ઉનાળામાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. અહી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. માંડણ ગામે આવેલી નદીમાં ભરૂચ જિલ્લાના એક જ પરિવારના પાંચ લોકો ડૂબી જતાં અને તમામના મૃત્યું થતાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રવિવારની રજા હોઈ મોટી સંખ્યામાં ભરૂચ અને તેની આસપાસના લોકો માંડણ પાસેની નર્મદા નદી પાસે ફરવા આવ્યા હતા. જેમાં ભરૂચના જિલ્લાના જોલવા ગામે રહેતો પરમાર પરિવાર પણ માંડણ ગામે કુદરતી સૌંદર્ય નિહાળવા આવ્યો હતો. અસહ્ય ગરમીને કારણે અનેક લોકો નદીમાં ન્હાવા પડ્યા હતા. ત્યારે એક પછી એક પરિવારના પાંચ સભ્યો નદીમાં ડૂબ્યા હતા. સ્થાનિક લોકોએ નદી કિનારા નજીકથી બે બાઈક અને ચપ્પલ પડેલા જોતા કેટલાક લોકો ડૂબી ગયા હોવાનું અનુમાન લગાવ્યુ હતું. જેના બાદ રેસ્ક્યૂ શરૂ કરાયુ હતું. જેમાં જાણવા મળ્યુ કે, પરિવારના જનકસિહ બલવંતસિહ પરમાર (ઉ.વ 35), જીગનીશાબેન જનકસિંહ પરમાર (ઉ.વ 32), પૂર્વરાજ જનકસિહ પરમાર (ઉ.વ 8), વિરપાલસિહ પરબત સિહ ચૌહાણ (ઉ.વ 27) અને ખુશી વિરપાલસિહ ચૌહાણ (ઉ.વ 24) પાણીમાં ડૂબી ગયા હતા. ગત મોડી સાંજે એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો, ત્યારબાદ સોમવારે વહેલી સવારે અન્ય 3 મૃતદેહો મળ્યા હતા. અને શોધખોળ દરમિયાન બપોરે વધુ એક મૃતદેહ મળ્યો હતો, પાંચેય મૃતદેહોને પીએમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય હોય છે કે, અનેક લોકો નદીમાં ન્હાવા પડતા હોય છે, પણ તેઓ પાણીની ઊંડાઈથી અજાણ હોય છે. જેથી નદીમાં આગળ જતા રહે છે. આ કારણે તેઓ પાણીના વહેણમાં ડૂબી જાય છે. ફરવા આવનારા લોકો જાણકારીના અભાવે જીવ ગુમાવે છે.