ગાંધીનગર સહિત 45 સ્થળે 18મા રોજગાર મેળામાં 61,000 નિમણૂકપત્ર એનાયત
ગાંધીનગર, 24 જાન્યુઆરી, 2026 – 61,000 appointment letters awarded પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તા. 24 જાન્યુઆરી, 2026ના રોજ ગાંધીનગર સહિત દેશભરના 45 સ્થળોએ યોજાયેલા રોજગાર મેળામાં ભારત સરકારના વિવિધ વિભાગોમાં નવી નિમણૂક મેળવનાર 61,000થી વધુ ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે પ્રધાનમંત્રીએ વિશેષ વીડિયો સંદેશ મારફતે નવનિયુક્ત ઉમેદવારોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
ગાંધીનગર BSF કેમ્પસ ખાતે 34 મહિલાઓને પણ નિમણૂકપત્ર
ગાંધીનગર BSF કેમ્પસ ખાતે આયોજિત 18મા રોજગાર મેળામાં ભારત સરકારના માનનીય રાજ્ય મંત્રી, ઉપભોક્તા બાબત, ખાદ્ય અને જાહેર વિતરણ શ્રીમતી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં પસંદગી પામેલા 200થી વધુ યુવાનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ અવસરે શ્રીમતી બાંભણિયાએ જણાવ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આજે દેશભરમાં યુવાનોને સરકારી નોકરીના નિમણૂક પત્રો આપવામાં આવી રહ્યા છે. તેમાં ગાંધીનગર કેન્દ્ર પરથી આશરે 200થી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા, જેમાં 34 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આજે નિમણૂક પત્ર મેળવનારા યુવાનો માટે તેમજ તેમના પરિવારજનો માટે આ ગૌરવ અને ઐતિહાસિક ક્ષણ છે. આ નિમણૂક પત્રો યુવાનોના પરિશ્રમ, તેમજ તેમના પરિવારના આશીર્વાદ અને દેશના વિકાસમાં તેમની ભાગીદારીનો પુરાવો છે.
તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઑક્ટોબર 2022માં રોજગાર મેળાની શરૂઆત કરી હતી અને 10 લાખ યુવાનોને સરકારી સેવા સાથે જોડવાનો સંકલ્પ લીધો હતો. આજે ગર્વ સાથે કહી શકાય કે, અત્યાર સુધી 17 રોજગાર મેળાઓ દ્વારા દેશભરમાં 11 લાખથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે, જે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે.
કેન્દ્રીય વિભાગોમાં નિમણૂક
યુવા શક્તિ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, યુવાનો આત્મનિર્ભર ભારતની સૌથી મોટી તાકાત છે. આજે અહીંથી BSF, CRPF, CISF, SSB, આસામ રાઈફલ્સ તથા રેલવે જેવા કેન્દ્રીય વિભાગોમાં યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવી રહ્યા છે.
સમાવેશી વિકાસ પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે, સરકાર ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ના મંત્ર સાથે આગળ વધી રહી છે. આ રોજગાર મેળામાં મહિલાઓ તથા ગ્રામિણ યુવાનોની ભાગીદારી સમાન તકો અને સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે.
શ્રીમતી બાંભણિયાએ સ્ટાર્ટઅપ અને કૌશલ્ય વિકાસ અંગે જણાવ્યું કે, છેલ્લા દસ વર્ષમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ કરોડો યુવાનોને તાલીમ આપવામાં આવી છે, જ્યારે પી.એમ. વિશ્વકર્મા યોજના દ્વારા પરંપરાગત કારીગરોને નવી તકો મળી રહી છે.
તેમણે નિમણૂક પામેલા યુવાનોને અપીલ કરી કે, તેઓ ‘સિટિઝન ફર્સ્ટ’ની ભાવના સાથે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે અને દેશના વિકાસ તથા રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપે.
અંતમાં શ્રીમતી નિમુબેન બાંભણિયાએ તમામ નિમણૂક પામેલા યુવાનોને સરકારી સેવામાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમના સફળ આયોજન બદલ તેમણે ઇન્સ્પેક્ટર જનરલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ગુજરાત ફ્રન્ટિયર શ્રી અભિષેક પાઠક તથા તેમની સમગ્ર ટીમને પણ અભિનંદન પાઠવ્યા હતા.


