
દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં 628 વાઘના મોત, સરકારે સંસદમાં આંકડા રજૂ કર્યા
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં 628 વાઘના મોત થયા છે. જેમાં કુદરતી કારણોસર તેમજ શિકાર દરમિયાન માર્યા ગયેલા વાઘની સંખ્યાનો સમાવેશ થાય છે. સરકારે આ આંકડા રજૂ કર્યા છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ના ડેટા અનુસાર, વર્ષ 2019માં દેશમાં 96 વાઘ માર્યા ગયા હતા. આ આંકડો વર્ષ 2020માં 106, વર્ષ 2021માં 127, વર્ષ 2022માં 121 અને વર્ષ 2023માં 178 વાઘનો હતો.
કેન્દ્રીય પર્યાવરણ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે રાજ્યસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં વાઘના હુમલામાં 349 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્ર રાજ્યમાં વાઘના હુમલામાં સૌથી વધુ 200 લોકોએ જીવ ગુમાવ્યા છે. આંકડા અનુસાર, વર્ષ 2019 અને 2020માં વાઘના હુમલામાં 49-49 લોકોના મોત થયા છે. જ્યારે 2021માં 50, 2022માં 110 અને 2023માં 82 લોકોએ વાઘના હુમલામાં જીવ ગુમાવ્યા હતા. વાઘના હુમલામાં ઉત્તર પ્રદેશમાં 59 અને મધ્ય પ્રદેશમાં 27 લોકોના મોત થયા હતા.
સરકારી આંકડા મુજબ, છેલ્લા 12 વર્ષમાં 2023માં સૌથી વધુ વાઘના મોત થયા છે. હાલમાં, દેશમાં વાઘની કુલ સંખ્યા 3,682 છે, જે સમગ્ર વિશ્વમાં જોવા મળતા વાઘની કુલ વસ્તીના 75 ટકા છે. આ સરકારી આંકડો વર્ષ 2022નો છે. ભારત સરકારે વર્ષ 1973માં પ્રોજેક્ટ ટાઇગર શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટ ટાઈગર હેઠળ દેશમાં વાઘના સંરક્ષણની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં, પ્રોજેક્ટ ટાઇગરની શરૂઆત 18,278 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા નવ વાઘ અનામત સાથે કરવામાં આવી હતી. આજે દેશમાં કુલ 55 વાઘ સંરક્ષણ કેન્દ્રો છે, જે કુલ 78,735 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે. આ દેશના કુલ ભૌગોલિક વિસ્તારના 2.4 ટકા છે.