1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગોહિલવાડમાં 6,600 હેકટરમાં કરાયું તલનું વાવેતર, ગત વર્ષ કરતા વાવેતરમાં 1200 હેકટરનો વધારો

ગોહિલવાડમાં 6,600 હેકટરમાં કરાયું તલનું વાવેતર, ગત વર્ષ કરતા વાવેતરમાં 1200 હેકટરનો વધારો

0
Social Share

ભાવનગરઃ ગોહિલવાડમાં ગત ચોમાસા દરમિયાન સારો વરસાદ પડ્યો હતોય તેની આ વખતે ઉનાળામાં પણ સિંચાઈના પાણી પુરતા મળી રહે તેમ હોવાથી ઉનાળું વાવેતરમાં ગત વર્ષની તુલનાએ વધારો થયો છે. ઉનાળાની ગરમીનો હવે આરંભ થઈ રહ્યો છે,  ત્યારે ગોહિલવાડ પંથકમાં અત્યાર સુધીમાં તલનું વાવેતર 6,600 હેકટરમાં નોંધાયું છે. જે ગત વર્ષના વાવેતરથી 1,200 હેકટર વધુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં  આ વખતે ડુંગળી, મગફળી, મગનું વાવેતરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત ઘાસચારો અને શાકભાજીનું વાવેતર પણ વધ્યું છે. જિલ્લામાં હાલ ઉનાળુ વાવેતર હજુ પણ શરૂ છે. જેનો 15 એપ્રિલ સુધીમાં ફાઈનલ રિપોર્ટ આવી જશે . ઉનાળુ પાકની વાત કરવામાં આવે તો સૌથી વધુ બાજરીના પાકનું 8400 હેકટરમાં વાવેતર થયું છે.  જિલ્લામાં ઉનાળુ પાકમાં મુખ્યત્વે ડુંગળી, તલ, મગનું વાવેતર કરવામાં આવે છે. આ વર્ષે પણ જિલ્લામાં તલના પાકનું વધુ વાવેતર નોંધાયું છે. આ ઉપરાંત ઘાસચારાનું વાવેતર નોંધપાત્ર કરાયું છે. જ્યારે  ક્રમશઃ મગફળી, મગ અને શાકભાજીનું વાવેતર પણ કરવામાં આવ્યું છે.

જિલ્લાના કૃષિ વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાવનગર જિલ્લામાં આ વર્ષે બાજરીનું કુલ વાવેતર 8400 હેકટરમાં થયું છે,  જે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ છે. આમ પણ હવે બાજરાના ખોરાકનું શહેરી સ્તરે પણ ચલણ વધ્યું છે. સૌરાષ્ટ્રમાં ઉનાળુ વાવેતરમાં 3 એપ્રિલ ,2023 સુધીમાં મગફળીનું કુલ વાવેતર 15,600 હેકટરમાં થયું છે તેમાં એકલા ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 8300 હેકટરમાં થયું છે. એટલે કે 53.21 ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. જ્યારે રાજ્યમાં ઉનાળુ મગફળીનું સર્વાધિક વાવેતર બનાસકાંઠામાં 21,300 હેકટરમાં થયું છે. તેના પછી ભાવનગર જિલ્લાનો ક્રમાંક છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર મગફળીની વાવણીમાં પ્રથમ નંબરે છે જ્યારે  3500 હેકટર સાથે રાજકોટ જિલ્લો 1800 હેકટર સાથે બીજા નંબરે અને અમરેલી જિલ્લો 1500 હેકટર સાથે ત્રીજા નંબરે છે. સમગ્ર ભારતમાં સૌથી વધુ તલનો પાક ગુજરાતમાં લેવામાં આવે છે. ગુજરાતમાં ચોમાસુ, ઉનાળું અને દક્ષિણ ભારતમાં તેનો પાક શિયાળાની ઋતુમાં લેવાય છે. તલ લગભગ બધાં રાજ્યોમાં થાય છે, પરંતુ ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં વધારે પાકે છે. ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code