દેશમાં 9 અને 10મી ફેબ્રુઆરીએ દીકરીઓના 7.5 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાશે
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્તરનું ફિલાટેલિક પ્રદર્શન – અમૃતપેક્ષ નવી દિલ્હી ખાતે 11મી ફેબ્રુઆરી થી 15મી ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. આ પ્રદર્શનની સફળતાને ચિહ્નિત કરવા પોસ્ટ વિભાગે અમૃતપેક્ષ – પ્લસના બેનર હેઠળ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. આ સંબંધમાં, સમગ્ર ભારતમાં તારીખ 9મી ફેબ્રુઆરી અને 10મી ફેબ્રુઆરીના રોજ પાત્રતા ધરાવતી દીકરીઓ માટે 7.5 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા ભારતભરમાં ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના તા. 22મી જાન્યુઆરી 2015ના રોજ “બેટી બચાવો બેટી પઢાવો” અભિયાનના સંદર્ભમાં શરૂ કરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન તમામ પોસ્ટ ઓફિસોમાં સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજ્યના દરેક ભાગમાં વિશેષ કેમ્પ અને મેળાઓનું આયોજન કરવામાં આવશે. સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીઓને આર્થિક સહાય પૂરી પાડવા, તેમના ધ્યેયો સાકાર કરવામાં અને તેમના સપના પૂરા કરવામાં સહાયરૂપ બને છે. આ યોજનામાં આકર્ષક વ્યાજ દર અને આવકવેરાના 80C હેઠળ કર બચત માટેની જોગવાઈ છે.ભારતીય ટપાલ વિભાગ તમામ માતા-પિતાને તેમની દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવા તેમને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટની ભેટ આપવા અપીલ કરીએ છીએ.