સલામતી અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ 7000 CCTV કેમેરા લગાવાયાં
ગાંધીનગર : રાજ્યના નાના-મોટા શહેરોમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ 7000 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પ્રથમ તબક્કો પૂર્ણ થતાં હવે સરકાર તેના બીજા તબક્કાની તૈયારી કરી રહી છે જેમાં તેનો વ્યાપ નાના શહેરોમાં વિસ્તરિત કરવામા આવશે. બીજા તબક્કામાં ટિયર -3 શ્રેણીના 51 શહેરોમાં 10 હજારથી વધુ સીસીટીવી સ્થાપિત કરવામા આવશે. તેના માટે ટેન્ડરિંગ સહિતની પ્રક્રિયાઓ શરૂ કરવામા આવી છે અને 2023ના અંત સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી દેવામા આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2013-14માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોની સલામતી અને ટ્રાફિક નિયમન માટે રાજ્યવ્યાપી સીસીટીવી કેમેરા આધારિત વ્યવસ્થા ઉભી કરવાનું વિઝન રજૂ કર્યું હતું. તેના આધારે મોટા શહેરોમાં પાયલટ પ્રોજેક્ટની સફળતા બાદ વિશ્વાસ પ્રોજેક્ટ શરૂ થયો હતો, જે રાજ્યના 34 જિલ્લા હેડક્વાર્ટર, 41 શહેરો અને 6 આધ્યાત્મિક સ્થળો (સોમનાથ, દ્વારકા, પાલિતાણા, અંબાજી, પાવાગઢ અને ડાકોર) તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શરૂ કરવામાં આવ્યો હતો. વિશ્વાસ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય જાહેર સ્થળોની સલામતી, ટ્રાફિક નિયમન અને નિયંત્રણ, ઘટના બાદનું વીડિયો ફોરેન્સિક અને તપાસ તેમજ રોડ સલામતી અને શહેરી ગતિશીલતાનો છે. સીસીટીવીના દ્રષ્યોનું મોનિટરીંગ જિલ્લા કમાન્ડ એન્ડ ક્ન્ટ્રોલ કેન્દ્રમાં થાય છે જેને ‘નેત્રમ’ કહેવામા આવે છે. સીસીટીવી દ્વારા આ પ્રકારની વ્યવસ્થાના લીધે 2018થી 2021 સુધી રોડ અકસ્માતમાં 19.09 ટકા સુધીનો ઘટાડો થયો છે. ટ્રાફિક નિયમનનો ભંગ કરનારાઓને 13 જુન 2022 સુધીમાં રૂ. 55,20,80,100ના મૂલ્યાના 15,32,253 ઇ-ચલણ ઇશ્યૂ કરવામા આવ્યા હતા. ઇ-ચલણની પ્રક્રિયા પેમેન્ટ પોર્ટલ અને મોબાઇલ એપ્લીકેશનની મદદથી સંપૂર્ણ પારદર્શક અને સરળ બનાવવામા આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સીસીટીવી સર્વેલન્સ અને ચલણ પ્રણાલીના લીધે વાહનચાલકોમાં પણ બદલાવ જોવા મળ્યો છે. બોડી વોર્ન કેમેરા અને ડ્રોન કેમેરાના લીધે મર્યાદિત પોલીસ સંખ્યામાં પણ મોટા પાયે કામગીરી શક્ય બની છે. તેના લીધે પણ કામગીરીમાં પારદર્શિતા આવી છે. ડિજીટલ તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ઉપયોગથી સુશાસનની વાત છે, ત્યાં સુધી ગુજરાતે સમગ્ર દેશમાં અભૂતપૂર્વ કામગીરી કરી છે. અત્યારે સરકારની મહત્વપૂર્ણ સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ છે અને તેના દ્વારા રાજ્યના નાગરિકોનું કામ સરળ બન્યું છે અને સમયની બચત થઇ રહી છે.આ પ્રોજેક્ટ અંગે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત કરવા, ગુનાહોના ડિટેક્શન અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે વિશ્વાસ પ્રોજેક્ટ અત્યંત મહત્વપૂર્ણ બન્યો છે.