ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધમાં અત્યાર સુધીમાં યુએનના 88 કર્મચારીઓના થયા મોત
નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 10 હજારથી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. આ યુદ્ધમાં આતંકવાદીઓની સાથે સામાન્ય નાગરિક, તબીબો સહિતના કાર્યકરો અને યુએનના કર્મચારીઓ મૃત્યુને ભડ્યાં છે. આ યુદ્ધમાં ગાઝા સ્થિત સંયુક્ત રાષ્ટ્રના 88 કર્મચારીઓના મોત થયાં છે. દુનિયામાં અત્યાર સુધી બે દેશો વચ્ચે થયેલા યુદ્ધમાં મૃત્યુ પામનાર કર્મચારીઓમાં આ આંકડો સૌથી વધારે હોવાનું જાણવા મળે છે.
સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ તેના 88 કર્મચારીઓ માર્યા ગયા છે. અહેવાલ મુજબ, સંયુક્ત રાષ્ટ્રએ સોમવારે (06 નવેમ્બર) એ વાત પર ભાર મૂક્યો હતો કે, ગાઝામાં 88 કર્મચારીઓ માર્યા ગયા છે, જે સંયુક્ત રાષ્ટ્રના એક સંઘર્ષમાં અત્યાર સુધીની સૌથી વધુ મૃત્યુઆંક છે.
અહેવાલ અનુસાર, 7 ઓક્ટોબરે યુદ્ધની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં પેલેસ્ટિનિયન શરણાર્થી એજન્સી UNRWAના 88 કર્મચારીઓ માર્યા ગયા છે. મુખ્ય યુએન એજન્સીઓના વડાઓ દ્વારા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ આંકડો એક સંઘર્ષમાં નોંધાયેલા યુએનના મૃત્યુની સૌથી વધુ સંખ્યા દર્શાવે છે.
અહેવાલ મુજબ, નિવેદનમાં ગાઝામાં નાગરિકોના મૃત્યુ પર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને “તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામ” માટે હાકલ કરવામાં આવી હતી. આ દરમિયાન હમાસ દ્વારા ઇઝરાયેલમાંથી અપહરણ કરાયેલા બંધકોને મુક્ત કરવાની પણ માંગ કરવામાં આવી હતી. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી હતી કે, જ્યાં સુધી હમાસના આતંકવાદી જૂથ તેના બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી ઇઝરાયેલ યુદ્ધવિરામ માટે સંમત થશે નહીં.