- અકળાવતા ઉનાળાથી હવે ટૂંકમાં જ મળશે રાહત
- 31મી મેના રોજ કેરળમાં ચોમાસાનું થઇ શકે આગમન
- ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થવાની આગાહી
નવી દિલ્હી: અકળાવતા ઉનાળાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે ચોમાસાને લઇને એક રાહતના સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર, 31મેના રોજ ચોમાસું કેરળ પહોંચશે તેવી આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેરળના દરિયા કિનારાના પ્રદેશોમાં સોમવારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર આંદામાન-નિકોબાર સુધી 21મેના રોજ ચોમાસું પહોંચી ગયું હતું. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અનુસાર, કેરળમાં 31મી મેની નજીક લગભગ દક્ષિણ-પશ્વિમ ચોમાસા માટે સ્થિતિ અનુકુળ છે.
આ વર્ષે દક્ષિણ-પશ્વિમમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે. જૂનથી લઇને સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થવાની સંભાવના છે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું. ગત મહિને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ માધવ રાજીવને કહ્યું હતું કે, હવામાનની લાંબી અવધી સરેરાશ 98 ટકા રહેશે, જે સામાન્ય શ્રેણીમાં આવે છે.
આપને જણાવી દઇએ કે, LPA 1961-2020 વચ્ચે ચોમાસામાં થયેલો વરસાદ સરેરાશ 88 સેન્ટિમિટર છે. 98% પૂર્વાનુમાન મતલબ છે, કે આ વર્ષે ચોમાસા દરમિયાન 82.2 CM વરસાદ રહેશે.
હવામાન વિભાગ દ્વારા કરાયેલા આગાહીમાં ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે, જેમાં સુરતમાં 13 જૂન, અમદાવાદમાં 14 જૂન, સુરેન્દ્રનગરમાં 15 જૂન અને ભૂજમાં 21 જૂનના રોજ ચોમાસાનો પ્રારંભ થવાની સંભાવના છે. આ પછી ચોમાસું ગુજરાતમાં સપ્ટેમ્બર 25 તારીખ સુધી રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.
જો 10 મે પછી કેરળના 14 કેન્દ્રો પર સતત બે દિવસ 2.5 મિલીમીટર કે તેનાથી વધારે વરસાદ થાય છે, તો બીજી દિવસે ચોમાસું આવવાની આગાહી કરવામાં આવે છે પાછલા તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે. જોકે, તેની પાછળ કેટલાક માનકો પૂર્ણ થવા જરુરી છે. જેમાં નક્કી કોઓર્ડિનેટ્સ વચ્ચે હવાની ગતિ, આઉટગોઈંગ લોંગવેવ રેડિએશનના સ્તરનો સમાવેશ થાય છે.
ચોમાસું ત્યારે શરુ થાય છે જ્યારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ પહેલીવાર કેરળના દક્ષિણ ભાગ સાથે ટકરાય છે, સામાન્ય રીતે જૂનના પહેલા અઠવાડિયામાં અને રાજસ્થાનથી સપ્ટેમ્બરમાં પાછળ ખસી જાય છે.