
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપે તો ચૂંટણીની યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેતા વહેલી ચૂંટણી યોજાશે એવી અટકળો પણ શરૂ થઈ છે. દરમિયાન ભાજપના કેન્દ્રિય નેતાઓના ગુજરાતના પ્રવાસમાં પણ વધારો થઈ રહ્યો છે. ચૂંટણીમાં કેવી રણનીતિ અપનાવવી, સમાજના આગેવાનો પાસેથી કઈ રીતની મદદ મેળવવી, પ્રચારની સ્ટ્રેટેજી કેવી બનાવવી, વગેરે બાબતો પર ચિંતન કરવા માટે ભાજપની પ્રદેશના ટોપ ગણાતા 40 જેટલા અગ્રણીઓની બે દિવસીય ચિંતન શિબીર અમદાવાદ-રાજકોટ હાઈવે પર બાવળાના કેન્સવિલે રિસોર્ટમાં તા.15મી મેથી યોજાશે. આ શિબીરમાં કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ તેમજ ભાજપ સંગઠનના મહામંત્રી બી.એલ સંતોષ ઉપસ્થિત રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ભાજપની 40થી વધુ આગેવાનોની ચિંતન શિબિર 15 અને16 મે ના રોજ યોજાશે, બાવળા હાઈવે પર આવેલા રિસોર્ટ કેન્સવિલે ખાતે યોજાનારી આ ચિંતન શિબિરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, સંગઠન મહામંત્રી બી.એલ સંતોષ અને પ્રભારી ભુપેન્દ્ર યાદવ પણ હાજર રહેશે, આ શિબિરમાં મંત્રીઓ અને ગુજરાત ભાજપ સંગઠનની કામગીરીની સમીક્ષા સાથે ચૂંટણી લક્ષી વ્યૂહરચના પર પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં કોર કમિટી તેમજ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ બેઠકમાં ભાજપના મહામંત્રી તેમજ સંગઠનના ટોચના આગેવાનો પણ હાજર રહેવાના છે.
રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા પછી ભાજપની આ પ્રથમ ચિંતન શિબિર યોજાય રહી છે. પક્ષ પ્રમુખ પાટીલે બેઠકમાં ક્યા ક્યા મુદ્દાઓની ચર્ચા કરવી તેનો એજન્ડા તૈયાર કરી દીધો છે. આ બેઠકમાં આદિવાસી તેમજ પાટીદાર સમાજ અંગે ચર્ચા કરાશે.ભાજપને કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીની ચિંતા પેઠી ગઈ છે. કારણ કે કોંગ્રેસને તો તેના કમિટેડ મતો મળવાના છે પણ આમ આદમી પાર્ટી ભાજપને કેટલું નુકશાન કરી શકે તેની ચર્ચા કરાશે. અને ચૂંટણીનો રોડ મેપ તૈયાર કરાશે, છેલ્લી છ ટર્મથી ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારે એન્ટી ઇન્કમબન્સી ફેકટરના મુદ્દ પણ ચિંતન કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેના છેલ્લા સપ્તાહમાં રાજકોટ આવશે. બે લાખથી વધુ પાટીદારોને સંબોધન કરશે. બીજીતરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરીવાર 15મીએ ગુજરાતના પ્રવાસે આવશે. અમદાવાદથી ગુજરાત યાત્રાનો પ્રારંભ કરાવશે. ગુજરાત સરકારની નિષ્ફળતા અને મોંઘવારી સહિતના મુદ્દાઓ જનતા સમક્ષ મુકશે.