
અમદાવાદઃ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા આવક હોવા છતાયે પુરતો ટેક્સ નહીં ભરીને કરચોરી કરનારા પ્રોફેશનરોને શોધીને ખૂલાશો માગતી નોટિસો ફટકારવામાં આવી રહી છે. મૂનલાઇટિંગ પ્રોફેશનલ્સને ઇન્કમટેકસ વિભાગે નોટિસો ફટકારી છે. મૂનલાઇટિંગ પ્રોફેશનલ એટલે એવા લોકો જેઓ પોતાની જોબ ઉપરાંત અન્ય આવક મેળવતા હોય છે. વર્ક ફ્રોમ હોમને લઇને કેટલાક લોકો બે જોબ અથવા અન્ય આવક મેળવતા હોવા છતાંયે વધારાની આવક પર ટેક્સ ચૂકવતા નથી. આવા પગારદાર વ્યક્તિઓની વધારાની આવક બેન્કમાં પણ જમા થતી હોવા છતાં આ આવકને TI રિટર્નમાં દર્શાવમાં આવી નથી.
ઈન્કમટેક્સ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ પગારદાર કરદાતાઓ અને સિનિયર સિટીઝનોએ જુલાઇ માસના અંતમાં પોતાના ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કર્યા હતા. જેની ચકાસણી ડિપાર્ટમેન્ટે શરૂ કરી દીધી છે અને રિટર્નમાં આવેલા તફાવત કે ટેક્સ ભરવાની રહી ગઇ હોય તેવી આવકને શોધીને કરદાતાઓને નોટિસ પાઠવવાની કામગીરી કરવામાં આવી રહી છે. કોવિડ બાદ પણ લાંબો સમય વર્ક ફ્રોમ હોમની કામગીરી ચાલી હતી. જેને લઇને મોટાભાગના લોકોએ અન્ય આવક કરી હતી. પોતાની જોબ ઉપરાંતની આવક કરતા કરદાતાઓએ નાની રકમ ઉપર ટીડીએસ ન હોતો કપાવ્યો જેના કારણે તે આવક એઆઇએસ 26એએસમાં દેખાતી હતી. જો કોઇ વ્યક્તિએ પોતાની બીજી આવકનો ઉલ્લેખ પોતાના ઈન્કમટેક્સ રિટર્નમાં ન કર્યો હોય તો તેમને નોટિસનો સામનો કરવો પડશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જે કરદાતાને આવી નોટિસ મળી હોય તો તેણે સાબિત કરવાનું રહેશે કે, મળેલી આવક તેમની નથી અને જો તે આવક તેમની હોય તો તેના ઉપર ટેકસ ચૂકવવો પડશે. જો નોટિસ સાચી હોય તો ડિમાન્ડ ટેક્સની સાથે વ્યાજ પણ ચૂકવવું પડશે. આ ઉપરાંત કરદાતા જેટલા દિવસ ટેકસ મોડો ચૂકવે છે તેટલા દિવસની પેનલ્ટી પણ લાગશે. ટેકસ એકસ્પર્ટનું કહેવું છે કે, જો કોઇ કરદાતાએ નાની રકમ ઉપર ટીડીએસ ના કપાવ્યો હોય તેમજ તેણે રિટર્ન ભરતી વખતે આવી આવકનો ઉલ્લેખ ન કર્યો હોય. આ સંજોગોમાં કરદાતાના 26એએસમાં દેખાતી રકમ અને રિટર્નમાં મિસમેચ આવે છે. આવા કરદાતોએ ખૂલાશો કરવા પડશે