1. Home
  2. ગુજરાતી
  3. માતાના મઢઃ આશાપુરા ધામ પરિસરના નવીનીકરણ તથા પુનર્વિકાસ માટે માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો
માતાના મઢઃ આશાપુરા ધામ પરિસરના નવીનીકરણ તથા પુનર્વિકાસ માટે માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો

માતાના મઢઃ આશાપુરા ધામ પરિસરના નવીનીકરણ તથા પુનર્વિકાસ માટે માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો

0
Social Share

અમદાવાદઃ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર ‘માતાના મઢ’ ખાતે આવેલ આશાપુરા ધામમાં વિકાસ કાર્યોનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજ્ય સરકારે સમગ્ર આશાપુરા ધામ પરિસરના નવીનીકરણ તથા પુનર્વિકાસ માટે રૂ. 32.71 કરોડનો માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો છે કે જેના હેઠળ આશાપુરા મંદિર યાત્રાધામ પરિસર ખાતે આવેલ ખાટલા ભવાની મંદિર તથા ચાચરા કુંડનું અદ્યતન નવીનીકરણ કરી દેવામાં આવ્યું છે અને મુખ્ય મંદિર સહિત સમગ્ર માસ્ટર પ્લાનનું કામ એપ્રિલ-2024માં પૂર્ણ થઈ જશે.

રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી) દ્વારા ગત ઑગસ્ટ-2022થી કચ્છ જિલ્લામાં લખપત તાલુકાના માતાનો મઢ ગામે આવેલ આશાપુરા માતા મંદિર પરિસરના વિકાસ માટેના માસ્ટર પ્લાન હેઠળ વિકાસ કાર્ય શરુ કરવામાં આવ્યા હતાં અને હાલ સમગ્ર આશાપુરા ધામ ખાતે આ માસ્ટર પ્લાન હેઠળ રીડેવલપમેન્ટ તથા રિનોવેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં આવેલ યાત્રાધામોને ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી રહી છે અને આ જ કડીમાં ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓ જ્યાં આસ્થા ધરાવે છે, તેવા માતાનો મઢ ખાતે આવેલ આશાપુરા મંદિર તથા આસપાસના આસ્થા સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

આશાપુરા માતા યાત્રાધામ સંકુલ ખાતે આવેલ ખાટલા ભવાની મંદિર પર્વતની ટોચ પર આવે છે કે જ્યાં પહોંચવા પગથિયા (ધાબા સાથે) તથા મોટરેબલ રસ્તો હતો. પર્વતની ટોચે મંદિર પાસે અવિકસિત મોટો વિસ્તાર આવેલો હતો કે જ્યાંથી સંપૂર્ણ ‘માતાનો મઢ’ ગામ જોઈ શકાય છે. માસ્ટર પ્લાન હેઠળ ખાટલા મંદિર ભવાની મંદિરે જવા માટેના પગથિયાનું રીનોવેશન, મંદિરમાં પથ્થરનું ક્લેડિંગ, પર્વત પર યાત્રિકો માટે પરિસરનો વિકાસ કરવામાં આવ્યો છે કે જેમાં વૉક-વે, બાળ ક્રીડાંગણ, ગઝીબોનું રીપેરીંગ, વાહનો થકી આવતાં યાત્રાળુઓ માટે રૅમ્પ-એપ્રોચ, પ્લાન્ટેશન, પાર્કિંગ અને શૌચાલય બ્લૉક, હંગામી સ્ટૉલ માટે શેડ-ઓટલા, મુખ્ય પ્રવેશ દ્વાર જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

માતાનો મઢ ગામમાં પૌરાણિક ચાચરા કુંડ આવેલ છે કે જેમાં બારેમાસ પાણી રહે છે. કુંડની આસપાસ (પરિસરની) વિશાળ જગ્યા આવેલ છે. ચાચરા કુંડ ખૂબ જ જર્જરીત હાલતમાં હતો તથા પરિસરમાં અન્ય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હતી. માસ્ટર પ્લાન હેઠળ ચાચરા કુંડનો અદ્યતન લાઇટિંગ સાથે જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે. ચાચરા કુંડ પરિસરમાં વૉક-વે, બાળ ક્રીડાંગણ, બેઠક વ્યવસ્થા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. અહીં આવતાં પ્રવાસીઓ જાતે ભોજન બનાવી અને જમી શકે; તે માટે કિચન-ડાઇનિંગ સુવિધા ઊભી કરાઈ છે. આ ઉપરાંત એમ્ફી થિયેટર પ્રકારની બેઠક વ્યવસ્થા, પ્લાન્ટેશન, શૌચાલય બ્લૉક તથા મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારનું રિપૅરિંગ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code