તમિલનાડુ: મુખ્યમંત્રી વિજય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ DMKના પૂર્વ મંત્રી અનિતા રાધાકૃષ્ણનની ધરપકડ
ચેન્નઈ, 03 જુલાઈ 2026: Arrest of former DMK Minister Anita Radhakrishnan તમિલનાડુના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. મુખ્યમંત્રી સી. જોસેફ વિજય વિરુદ્ધ અપમાનજનક અને અભદ્ર ભાષણ આપવા બદલ પોલીસે ડીએમકેના ભૂતપૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય અનિતા આર. રાધાકૃષ્ણનની ધરપકડ કરી હતી.
મદ્રાસ હાઈકોર્ટે તેમની આગોતરા જામીનની અરજી ફગાવી દીધા બાદ તરત જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા રાધાકૃષ્ણનની ધરપકડ ત્યારે કરવામાં આવી જ્યારે તેઓ તેમના મતવિસ્તારની મુલાકાત લઈ રહ્યા હતા. ધરપકડ સમયે ઘટનાસ્થળે તેમના મોટી સંખ્યામાં સમર્થકો એકઠા થયા હતા અને પોલીસની કાર્યવાહી સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે તિરુચેન્દુર વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ડીએમકે (DMK)ના ધારાસભ્ય અનિતા રાધાકૃષ્ણને 20 જૂને એક જાહેર સભા દરમિયાન મુખ્યમંત્રી વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. આ ઘટના બાદ, સત્તાધારી પક્ષ ટીવીકે (TVK) દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 352 (શાંતિભંગ ઉશ્કેરવાના ઈરાદાથી જાણીજોઈને અપમાન કરવું) અને કલમ 353(2) (જાહેર વ્યવસ્થામાં ખલેલ કે અરાજકતા ઊભી કરે તેવા નિવેદનો કરવા) હેઠળ રાધાકૃષ્ણન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ધરપકડથી બચવા માટે અનિતા રાધાકૃષ્ણને મદ્રાસ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી; જોકે, જસ્ટિસ જી.કે. ઈલાન્થિરાઈયને આ અરજી ફગાવી દીધી હતી. મૌખિક રીતે કડક ટિપ્પણી કરતા કોર્ટે અવલોકન કર્યું હતું કે, એક ધારાસભ્ય તરીકે રાધાકૃષ્ણને જાહેર મંચ પરથી આવા ગરિમાહીન નિવેદનો કરવા જોઈતા ન હતા.
વધુ વાંચો: પાકિસ્તાન: ખૈબર પખ્તુનખ્વામા બસ ખીણમાં ખાબકી, 40 મુસાફરોના મોત


