
અમદાવાદઃ શહેરમાં ઘણા પ્રોપ્રટીધારકો AMCની વારંવારની નોટિસ છતાંયે મિલકતવેરો ભરતા નથી. આથી બાકી પ્રોપર્ટી ટેક્સ સામે મ્યુનિ.એ ઝૂંબેશ શરૂ કરી છે. જેમાં એક જ દિવસમાં શુક્રવારે 3970 જેટલી મિલક્તોને સીલ કરવામાં આવી હતી. ઉપરાંત શહેરમાં ઘણીબધી રેસ્ટોરન્ટ્સ, હોટલો અને ખાનગી હોસ્પિટલોના મકાનોના પ્રોપર્ટી ટેક્સ બાકી છે. એવા બાકીદાર ટેક્સ પ્રોપર્ટીધારકોને પણ નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત ઘણા બિઝનેસ એકમો દ્વારા પ્રોફેશનલ ટેક્સ બાકી છે. એવા 1142 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા બાકી ટેક્સની વસુલાત માટે મિલકત સીલિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. સપ્તાહના દર શુક્રવારે ટેક્સ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મિલકત સીલિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવે છે. તા.5મીને શુક્રવારે કુલ 3,970 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ પશ્વિમ ઝોનમાં પરિમલ ચાર રસ્તા પાસે આવેલા ડોક્ટર હાઉસ, આઈ આઈ એમ રોડ, શિવાલિક પ્લાઝા, ઝેવિયર્સ કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં આવેલી કુલ 1,300 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ટેક્સ વિભાગ દ્વારા હોટલ રેસ્ટોરન્ટ અને હોસ્પિટલ જેવી મિલકતોના મોટા બાકી ટેક્સ ધારકો સામે સીલિંગ ઝૂંબેશ કરવામાં આવશે.
શહેરમાં મ્યુનિ. દ્વારા બાકી ટેક્સની ભરપાઈ કરવા માટે વ્યાજમાફી સ્કીમ અમલમાં મુકવાની સાથે જે કરદાતાઓ વર્ષોથી બાકી મિલકતવેરો ભરપાઈ કરતા નથી એમની મિલકતોને સીલ કરી ટેકસની વસૂલાત કરવામાં આવી રહી છે. શુક્રવારે મિલકત સીલિંગ ઝૂંબેશ કરાતા 6.77 કરોડની આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થઈ છે. જો આગામી દિવસોમાં મિલકત ધારકો દ્વારા ટેક્સ નહીં ભરવામાં આવે તો તેમના પાણી અને ગટર કનેક્શન પણ કાપી નાખવામાં આવશે.
આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં જે ધંધાકીય પ્રોફેશનલ ટેક્સ ભરે છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ટેક્સ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં 1,757 ધંધાકીય એકમોમાં તપાસ કરી હતી જેમાં 1,142 ધંધાકિય એકમો દ્વારા પ્રોફેશનલ ટેક્સ ભરવામાં આવ્યો ન હોવાથી તેઓને નોટિસ આપી હતી અને કુલ 13.45 લાખ પ્રોફેશનલ ટેક્સ વસૂલવામાં આવ્યો હતો.