આતંકી શાહીનનો દોરીસંચાર અને ટીસીએસની એચઆર નિદા ખાન દ્વારા અમલ?
નવી દિલ્હી, 17 એપ્રિલ, 2026: નાસિકસ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)માં વર્ષો સુધી ચાલતા રહેલા ધર્માંતરના કાવતરા કેસમાં હવે રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર HR એક્ઝિક્યુટિવ નિદા ખાનના પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની આતંકી ડો. શાહીન શાહિદ સાથેના જોડાણની તપાસ કરવા દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ નાસિક જઈ શકે છે.
નિદા ખાન પર ઉત્પીડન અને બળજબરીથી ધર્મ પરિવર્તનનો આરોપ
નિદા ખાન પર TCS ની 12 મહિલા કર્મચારીઓએ ઉત્પીડન અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના ગંભીર આરોપો લગાવ્યા છે. નિદા ખાન, લાલ કિલ્લા પર થયેલા બોમ્બ ધડાકાની આરોપી ડો. શાહીન શાહિદ સાથે લાંબા સમયથી જોડાયેલી રહી છે. ગુનો નોંધાયા બાદથી નિદા ખાન ફરાર છે. આ સંબંધમાં નાસિક પોલીસે સ્પેશિયલ સેલને પણ જાણ કરી દીધી છે.
આ પણ વાંચોઃ TCSમાં બેઠેલા જેહાદીઓ અંગે વધુ એક ખુલાસો, પીડિત હિન્દુ પુરુષ કર્મચારીએ જણાવી વ્યથા…
સ્પેશિયલ સેલના એક અધિકારીનું કહેવું છે કે નાસિક TCS માં કામ કરતી કેટલીક મહિલા કર્મચારીઓએ મહિલા સહકર્મીઓ પર યૌન ઉત્પીડન અને તેમના પર બળજબરીથી ધર્મ પરિવર્તન (ઈસ્લામ અપનાવવા) માટે દબાણ કરવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ મામલામાં માસ્ટરમાઈન્ડ તરીકે HR એક્ઝિક્યુટિવ નિદા ખાનનું નામ સામે આવ્યું છે.
ડો. શાહીન શાહિદ સાથે લાંબા સમયથી જોડાયેલી રહી છે નિદા ખાન
આ ઉપરાંત, કંપનીના અન્ય ટીમ લીડર્સ પણ આમાં સામેલ હોવાના આક્ષેપો છે. 12 પીડિતોએ નાસિક પોલીસમાં ફરિયાદ કરી છે. આ મામલે નાસિક પોલીસ અત્યાર સુધીમાં કુલ 9 FIR નોંધી ચૂકી છે. તપાસમાં બહાર આવ્યું છે કે ફરાર નિદા ખાનનો સંબંધ લાલ કિલ્લા બોમ્બ ધડાકાની આરોપી ડો. શાહીન શાહિદ સાથે નાસિકમાં રહ્યો છે.
નિદા ખાન એવા કટ્ટરપંથી નેટવર્કના સંપર્કમાં હતી જે શાહીનના જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા મહિલા વિંગ સાથે સંકળાયેલા છે. તપાસ એજન્સીઓ હવે આ સમગ્ર મામલાને માત્ર વ્યક્તિગત ઉત્પીડન ન ગણીને, તેને એક ‘હાઇબ્રિડ’ અથવા ‘વ્હાઇટ કોલર’ આતંકી કાવતરા તરીકે જોઈ રહી છે, જ્યાં કોર્પોરેટ ઓફિસોનો ઉપયોગ કટ્ટરપંથ ફેલાવવા અને ભરતી કરવા માટે કરવામાં આવતો હતો.
આ પણ વાંચોઃ યુનિફોર્મ સિવિલ કોડ એ બંધારણીય લક્ષ્ય, તેને ધર્મ સાથે સાંકળવો યોગ્ય નથી: CJI સૂર્યકાંત
નિદા ખાન પર આરોપ છે કે તે ખાસ કરીને મહિલા કર્મચારીઓને નિશાન બનાવતી હતી, તેમને લલચાવતી હતી અને તેમના પર ઈસ્લામિક રીત-રિવાજો અપનાવવા દબાણ કરતી હતી. તે પીડિતોને નમાઝ પઢવા અને કલમા પઢવા મજબૂર કરતી હતી. પોલીસ અધિકારીનું કહેવું છે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે આ બાબતને ગંભીરતાથી લઈને, આરોપી તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. કંપનીના અધિકારીઓ તપાસ એજન્સીઓને સહકાર આપી રહ્યા છે.
SIT આ મામલે ડિજિટલ પુરાવાઓ, વોટ્સએપ ચેટ અને અન્ય સત્તાવાર દસ્તાવેજોની તપાસ કરી રહી છે જેથી આ નેટવર્કની ઊંડાઈ સુધી પહોંચી શકાય. આ મામલો હવે માત્ર એક કંપનીનો આંતરિક વિષય ન રહેતા રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય બની ગયો છે, જેની તપાસ NIA જેવી કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પણ કરી રહી છે. આટલા મોટા કાવતરા સામે પીડિતો મજબૂતીથી ઊભા રહ્યા છે, જે અન્ય લોકો માટે પણ પ્રેરણા અને ઊર્જા સમાન છે. આ પ્રકારની ગેરકાયદે અને ગુનાઈત પ્રવૃત્તિઓ કોર્પોરેટ ક્ષેત્ર માટે મોટો ખતરો છે.


