ડીઝલની અછતને પગલે તાલાલા યાર્ડમાં કેસર કેરીનો ભરાવો, ખેડૂતોની મુશ્કેલીમાં થયો વધારો
રાજકોટ, 23 મે 2026: વિશ્વપ્રસિદ્ધ ગીરની કેસર કેરીના ગઢ ગણાતા ગીરસોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં હાલ કેસર કેરીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. ખેડૂતો મોટા પાયે પોતાની ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેસર કેરી વેચવા માટે યાર્ડમાં આવી રહ્યા છે, જેના કારણે આખું યાર્ડ સોના જેવી કેરીના બોક્સથી ઉભરાઈ ગયું છે. પરંતુ, આ સોનેરી સીઝનની બરાબર વચ્ચે જ એક મોટું સંકટ સામે આવ્યું છે. સમગ્ર પંથકમાં અચાનક સર્જાયેલી ડીઝલની તીવ્ર અછતની સીધી અને વિપરીત અસર કેસર કેરીના ખરીદ-વેચાણ પર જોવા મળી રહી છે, જેના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે.
સ્થાનિક અહેવાલો અનુસાર, પંથકમાં ડીઝલની અછત એટલી હદે વકરી છે કે કેરીની ખરીદી કરવા માટે આવતા અન્ય જિલ્લાઓ અને બહારના રાજ્યોના વેપારીઓને માલની હેરફેર કરવા માટે સમયસર વાહનો (ટ્રક, આઇશર કે છોટા હાથી) મળી રહ્યા નથી. વાહનો ન મળવાના કારણે અથવા રસ્તામાં ઇંધણ ખૂટી જશે તેવા ડરથી ઘણા મોટા વેપારીઓએ તાલાલા યાર્ડમાં આવવાનું જ ટાળ્યું છે. માર્કેટમાં ખરીદદારોની સંખ્યા એકાએક ઓછી થઈ જવાને કારણે કેરીની રોજિંદી હરાજી પર માઠી અસર પડી છે. પરિણામે, કેસર કેરીના 10 કિલોના એક બોક્સના ભાવમાં સીધો રૂ. 250 સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે, જે ખેડૂતો માટે મોટું આર્થિક નુકસાન સાબિત થઈ રહ્યું છે.
કેરી એ નાશવંત ફળ હોવાથી તેને લાંબો સમય સુધી સંગ્રહિત કરી શકાતું નથી. જો તેને સમયસર દેશના અન્ય માર્કેટોમાં પહોંચાડવામાં ન આવે તો આખો પાક બગડી જવાની અને ખેડૂતો પાયમાલ થઈ જવાની ભીતિ રહેલી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાલાલા એપીએમસીના સત્તાધીશો તાત્કાલિક એક્શનમાં આવ્યા છે. યાર્ડ પ્રશાસન દ્વારા વેપારીઓ અને પરિવહન (ટ્રાન્સપોર્ટેશન) સાથે સંકળાયેલા વાહનો માટે સ્પેશિયલ કેસમાં ડીઝલનો પૂરતો જથ્થો ફાળવવામાં આવે તેવી ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે. આ ગૂંચ ઉકેલવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને યાર્ડના અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર શરૂ કરાયો છે, જેથી વહેલી તકે ડીઝલની વૈકલ્પિક વ્યવસ્થા કરી કેસર કેરીના વેપારને ફરી પાટા પર લાવી શકાય.
આ પણ વાંચોઃ કર્ણાટકના કાલાબુર્ગીમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત


