ચિનાબ નદી પરના ડેમોના તળિયાના ગેટ ખોલી કાદવ સાફ કરાશે, પાણીનો સંગ્રહ વધાશે
નવી દિલ્હી, 12 જૂન 2026: પહેલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોની નિર્મમ હત્યા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ભારતે શરૂ કરેલા કૂટનીતિક અને વ્યૂહાત્મક પ્રહારોની અસર હવે જમીન પર દેખાવા લાગી છે. દાયકાઓ સુધી ઉદારતા અને સંયમ રાખ્યા બાદ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે ‘આતંકવાદ અને સહયોગ’ બંને એકસાથે ચાલી શકે નહીં. ભારત સરકાર દ્વારા ઐતિહાસિક ‘સિંધુ જળ સંધિ’ સસ્પેન્ડ કરાયા બાદ, હવે ભારતના હિસ્સાના પાણીનો મહત્તમ ઉપયોગ દેશના ખેડૂતો, ઉદ્યોગો અને ઉર્જા ઉત્પાદન માટે કરવાની યોજનાઓ પર યુદ્ધના ધોરણે કામ શરૂ કરી દેવાયું છે.
વર્ષ 1960 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી સિંધુ જળ સંધિ હેઠળ સિંધુ, જેલમ અને ચિનાબ નદીઓના પાણીના વપરાશ અંગે વિશેષ જોગવાઈઓ હતી. આ નદીઓનું મોટાભાગનું પાણી પાકિસ્તાન જતું હતું અને ભારત પાસે મર્યાદિત અધિકારો હતા. પરંતુ પહેલગામ હુમલા બાદ વડાપ્રધાનના એ જ કડક સંદેશાને અમલમાં મૂકવામાં આવ્યો છે કે “લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં.” ભારતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપશે, તો તેની સાથેની આવી કોઈ પણ સામાન્ય વ્યવસ્થા ચાલુ રાખી શકાય નહીં.
સરકારે ચિનાબ નદી પ્રણાલીના જળ સંસાધનોના બહેતર ઉપયોગ માટે મોટા પગલાં લીધા છે. નવી યોજના અનુસાર, હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિ ક્ષેત્રમાં વહેતી ચંદ્રા નદીના પાણીને ટનલ (સુરૂંગો) ના માધ્યમથી વ્યાસ નદી પ્રણાલી સાથે જોડવાની પ્રક્રિયાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટથી મળનારા વધારાના પાણીનો ઉપયોગ રાજસ્થાન સહિત દેશના સૂકા અને અછતગ્રસ્ત વિસ્તારોમાં સિંચાઈ માટે કરવામાં આવશે, જે ભવિષ્યમાં કૃષિ ક્ષેત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
-
સલાલ અને બગલિહાર પ્રોજેક્ટમાં પાકિસ્તાનની દાદાગીરી ખતમ, ખુલશે બંધ ગેટ
સિંધુ જળ સંધિના કડક નિયંત્રણોને કારણે વર્ષોથી જમ્મુ-કાશ્મીરમાં સ્થિત સલાલ અને બગલિહાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના જળાશયોમાં જમા થતો કાદવ (ગાદ) સંપૂર્ણપણે કાઢવાની પ્રક્રિયા મર્યાદિત હતી. ચિનાબ (ચુનાવ) નદી પર બનેલા આ જળાશયોમાં અત્યાર સુધી ડીસિલ્ટિંગ અને ડ્રેજિંગનું કામ થતું હતું, પરંતુ ફ્લશિંગ (કાદવને પાણીના જોરદાર પ્રવાહ સાથે વહાવી દેવાનું કામ) થઈ શકતું નહોતું.
આ ફ્લશિંગ કરવા માટે જળાશયના સૌથી નીચેના ગેટ (બોટમ ગેટ) ખોલવા પડતા હતા, જેના માટે પાકિસ્તાનની પરવાનગી લેવી ફરજિયાત હતી. પાકિસ્તાને ક્યારેય આ ગેટ ખોલવાની મંજૂરી આપી નહોતી અને તેને કાયમી ધોરણે લોક કરાવી દીધા હતા. પરંતુ, હવે આ સંધિનો અંત આવતા ભારત સરકારે આ તમામ નીચલા ગેટ ખોલીને જળાશયોમાં વર્ષોથી જમા થયેલો કાદવ સંપૂર્ણપણે સાફ કરવાની તૈયારી કરી લીધી છે. આ પ્રક્રિયાથી ડેમની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા (વોટર સ્ટોરેજ કેપેસિટી) વધશે અને ભારત હવે પોતાની મરજી મુજબ આ પાણીનો ઉપયોગ વીજળી બનાવવા માટે કરી શકશે.
-
ઇસ્લામાબાદ માટે કડક આર્થિક અને વહિવટી આંચકો
ભારતનું આ પગલું માત્ર જળ વ્યવસ્થાપન પૂરતું મર્યાદિત નથી, પરંતુ એક મોટો વ્યૂહાત્મક (સ્ટ્રેટેજિક) સંદેશ પણ છે. નવી દિલ્હીએ સંકેત આપ્યો છે કે જો પાડોશી દેશ આતંકવાદને પોતાની સત્તાવાર નીતિનો હિસ્સો બનાવશે, તો તેનું પરિણામ માત્ર સરહદ પર સૈન્ય કાર્યવાહી પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ તેની અસર પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અને કૃષિ પર પણ પડશે.
કોઈપણ રાષ્ટ્રની સદ્ભાવના અને ઉદારતાને તેની નબળાઈ સમજવી એ સૌથી મોટી ભૂલ છે. ભારતે સાબિત કર્યું છે કે તે શાંતિ ઈચ્છે છે, પરંતુ દેશની સુરક્ષા અને રાષ્ટ્રીય હિતો સાથે કોઈ સમજૂતી નહીં કરે. હવે ભારત પોતાના અધિકારના પાણીનો ઉપયોગ પોતાના ખેડૂતો, યુવાનો અને વિકાસ માટે કરવા આગળ વધી રહ્યું છે. આ માત્ર પાણીની કહાની નથી, પરંતુ આતંકવાદ સામે ભારતના સખત અને નિર્ણાયક રાષ્ટ્રીય સંકલ્પની કહાની છે.


