ઢાકાના આતિહાસિક નાનકશાહી ગુરુદ્વારામાં ગુરુ નાનક દેવની જન્મજ્યંતિની ધાર્મિક માહોલમાં ઉજવણી
નવી દિલ્હીઃ પડોશી દેશ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગુરુ નાનક દેવની જન્મજ્યંતિની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શિખ ધર્મના લોકો જોડાયા હતા. તેમજ ઢાકામાં ઐતિહાસિક નાનકશાહી ગુરુદ્વારામાં વિવિધ ધાર્મિક કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુરુદ્વારા નાનકશાહી ઢાકામાં આવેલ ઐતિહાસિક ગુરુદ્વારા છે. ગુરુ નાનક દેવે વર્ષ 1506-07માં ઢાકાની મુલાકાત લીધી હતી. ગુરુદ્વારાનું નિર્માણ 1830માં ગુરુ નાનકની મુલાકાતની યાદમાં કરવામાં આવ્યું હતું. ગુરુ તેગ બહાદુર પણ 2 વર્ષથી વધુ સમય ઢાકામાં રહ્યા હતા. ઢાકાના નાનકશાહી ગુરુદ્વારામાં 2 મહત્વપૂર્ણ અવશેષો છે. જેમાં ગુરુ તેગ બહાદુરના લાકડાના ચપ્પલ અને ગુરુ ગ્રંથ સાહિબની 2 હસ્તલિખિત નકલોનો સમાવેશ થાય છે. શુક્રવારે ઢાકાના ઐતિહાસિક નાનકશાહી ગુરુદ્વારામાં ગુરુ નાનક દેવની 554મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ પર્વ નિમિત્તે વિવિધ વિસ્તારના લોકોએ ગુરુદ્વારા ખાતે નમન કર્યા હતા. લોકો માટે સામુદાયિક મિજબાની અથવા લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુરબાનીને વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.
દરમિયાન બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને આસપાસના વિસ્તારોમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર પાંચ પોઈન્ટ છ માપવામાં આવી હતી. આ આંચકા ઢાકા, ચટ્ટોગ્રામ અને કેટલાક અન્ય ભાગોમાં અનુભવાયા હતા. સવારે 9.30 કલાકે આવેલો આ ભૂકંપ થોડીક સેકન્ડ સુધી ચાલ્યો હતો. તેની ઊંડાઈ 10 કિલોમીટર હતી અને કેન્દ્ર ચટ્ટોગ્રામ વિભાગના કોમિલ્લામાં હતું. સિલ્હેટ, ખુલના અને રાજવંશી વિભાગમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.