1. Home
  2. ગુજરાતી
  3. જળ પરિવહન નૂરમાં ત્રણ ગણો વધારો થતાં અલંગમાં ભંગાણ માટે આવતા જહાજોની સંખ્યામાં ઘટાડો
જળ પરિવહન નૂરમાં ત્રણ ગણો વધારો થતાં અલંગમાં ભંગાણ માટે આવતા જહાજોની સંખ્યામાં ઘટાડો

જળ પરિવહન નૂરમાં ત્રણ ગણો વધારો થતાં અલંગમાં ભંગાણ માટે આવતા જહાજોની સંખ્યામાં ઘટાડો

0
Social Share

ભાવનગરઃ દેશના સૌથી મોટા ગણાતા શીપ બ્રેકિંગ યાર્ડ અલંગમાં ફરી મંદીના એંધાણ વર્તાય રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જળ પરિવહન ક્ષેત્રે નૂર દરમાં આવેલા ત્રણ ગણા વધારાને કારણે જહાજના માલીકો હવે પોતાના શિપને સામાન્ય રિપેરિંગ કરાવી અને પરિવહનમાં યથાવત રાખી રહ્યા છે. તેની સીધી અસર અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગને પડી રહી છે. હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ભંગાણાર્થે મોકલવામાં આવતા જહાજના ભાવ 600 ડોલર સુધી પહોંચી ગયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં ફેબ્રુઆરી-2021થી ઓછા ટ્રાફિક  રહ્યો છે. વૈશ્વિક લોકડાઉનની ટોચ દરમિયાન આ ક્ષેત્રમાં તેજી જોવા મળી હતી. પ્રતિ માસ સરેરાશ 25 શિપ અલંગમાં ભંગાણાર્થે આવે છે. જે ફેબ્રુઆરી અને મે-2021ની વચ્ચે લગભગ 12 થી 15 જેટલા થઈ ગયા હતા. અલંગ યાર્ડમાં કોવિડ સમયગાળા દરમિયાન જૂના જહાજોનો મોટો પ્રવાહ જોયો હતો. જોકે હવે ચિત્ર બદલાઈ ગયું છે. કન્ટેનર કટોકટી ઉપરાંત, અર્થવ્યવસ્થામાં વધારો થતાં માલ પરિવહન વધવા લાગ્યુ છે, અને સમગ્ર વિશ્વનો 80 ટકા માલ પરિવહન જળ માર્ગે થાય છે. શિપિંગ નૂરમાં વિશ્વભરમાં 3 ગણો વધારો થયો છે.

શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો.ના સૂત્રોએ જણાવ્યું હતું કે, જહાજના માલીકોને અગાઉની સરખમાણીએ ત્રણ ગણા ભાડા મળી રહ્યા છે, તેથી જહાજને સામાન્ય રિપેરિંગ કરાવી અને જળપરિવહનમાં ચાલુ રાખે છે. શિપિંગ વ્યવસાય સાથે સંકળાયેલા બ્રોકરના જણાવ્યા મુજબ, છેલ્લા એક વર્ષમાં પ્રતિ જહાજની કિંમતમાં 50 ટકાનો વધારો થયો છે અને પાકિસ્તાન અને બાંગ્લાદેશ વધુ કિંમતે ઓફર કરે છે, તે ભારતનો વ્યવસાય છીનવી રહ્યા છે. આ પાછળનું કારણ એ છે કે આ બંને પાડોશી દેશો બાંધકામમાં 60 ટકા રિસાયકલ કરેલા સ્ટીલનો ઉપયોગ કરે છે અને બાકીના સ્ટીલ તેઓ નિકાસ કરે છે.

છેલ્લા ઘણા મહિનાઓથી આંતરરાષ્ટ્રીય બજારમાં સ્ટીલની કિંમત ઘણી વધારે છે અને તેથી જ આ દેશો વધુ વહાણો આકર્ષે છે. જ્યારે ભારતમાં આર્યન ઓરનો મોટો ઉપયોગ સ્ટીલ બનાવવામાં થાય છે, બાંધકામ ઉદ્યોગમાં ફક્ત ત્રણ ટકા રિસાયકલ સ્ટીલનો ઉપયોગ થાય છે. કોરોનાની બીજી લ્હેર દરમિયાન ઓક્સિજનની તંગીને કારણે લગભગ બે મહિના અલંગ શિપબ્રેકિંગ યાર્ડ બંધ રહ્યું હતું. જી.એમ.બી. દ્વારા સલામતી અને પર્યાવરણીય ચિંતાને ધ્યાનમાં લઈને પ્લોટમાં કેટલાક ફરજિયાત ફેરફાર કર્યા બાદ હવે જીએમબી દ્વારા ચાર્જ ત્રણ ગણો વધાર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code