લખનૌઃ યુપીના કાસગંજ જિલ્લામાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. પટિયાલી-દરિયાવગંજ રોડ પર શ્રદ્ધાળુઓથી ભરેલી એક ટ્રેક્ટર ટ્રોલીના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં તળાવમાં ખાબક્યું હતું. આ બનાવમાં ટ્રેક્ટર ટ્રોલીમાં સવારે અનેક શ્રદ્ધાળુઓ ડુબી ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 શ્રદ્ધાળુઓના મોત થયાનું જાણવા મળે છે. મૃતકોમાં આઠ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. ઘણા ગંભીર રીતે ઘાયલ ભક્તોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને કેટલાકને અન્ય રેફર કરવામાં આવ્યા છે. ઘટના સ્થળથી લઈને જિલ્લા હોસ્પિટલ સુધી અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ બનાવમાં મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
પ્રાથમિક માહિતી અનુસાર શ્રદ્ધાળુઓ ટ્રેક્ટર ટ્રોલીમાં પટિયાલા-દરિયાવગંજ માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યાં હતા. દરમિયાન વાહનના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટ્રેક્ટર-ટ્રોલી રોડની સાઈડમાં ઉતરી ગયું હતું અને તળાવમાં ખબક્યું હતું. આ બનાવને પગલે વાહનમાં સવાર પ્રવાસીઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
આ બનાવની જાણ થતા ડીએમ, એસપી અને અન્ય વહીવટી અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ બનાવમાં 20 વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે. મૃતકોમાં એક પરિવારના અનેક લોકો સામેલ છે. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ મેળવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
સીએમઓ ડો. રાજીવ અગ્રવાલે જણાવ્યું કે પટિયાલીના સીએચસીમાં સાત બાળકો અને આઠ મહિલાઓને મૃત જાહેર કરવામાં આવી છે. આ સાથે વધુ પાંચને મૃત જાહેર કરાયા હતા. એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવેલા અન્ય ઘાયલોની તપાસ કરવામાં આવી રહી છે. સંમગ્ર ઘટના અંગે મુખ્યમંત્રી યોગીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ મૃતકો અને ઈજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરી હતી.