
અંબાજી મંદિરમાં દિવાળીના તહેવારો નિમિત્તે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો
અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તા. 14મી નવેન્બરના બેસતા વર્ષના રોજ માતાજીને અન્નકુટ ધરાવવામાં આવશે. જો કે, 19મી નવેમ્બરથી મંદિરમાં આરતી અને દર્શનનો સમય ફરી એકવાર રાબેતા મુજબ થઈ જશે.
અંબાજી મંદિરમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તારીખ 14 નવેમ્બરને બેસતા વર્ષના દિવસે સવારે 6 વાગ્યે મંગળા આરતી તથા માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવશે. જ્યારે, તારીખ 15 નવેમ્બરથી 18 નવેમ્બર, લાભ પાંચમ સુધી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ મંગળા આરતી સવારે 6:30 કલાક થી 7:00 કલાક દર્શન સવારે, 7:00 કલાક થી 11:30 કલાક, રાજભોગ બપોરે 12 કલાકે તેમજ બપોરના દર્શનનો સમય 12:30 થી 4:15 કલાક અને સાંજ આરતી નો સામય 6:30 કલાક થી 7:00 કલાક વાગ્યા સુધી રહેશે. ઉપરાંત સાંજે 7 થી 9 કલાક સુધી દર્શન કરી શકાશે. તારીખ 19 નવેમ્બરથી અંબાજીમાં મંદિર તેમજ દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.
દિવાળીના તહેવારોમાં અંબાજીમાં દર્શનાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની આશા છે. જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓને યોગ્ય સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત એસટી નિગમ દ્વારા અંબાજી સહિત વિવિધ ધાર્મિક સ્થળો માટે ખાસ બસો દોડાવવામાં આવશે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા વધારાની બે હજારથી વધારે બસ દોડવામાં આવશે.