પડ્યા ને માથે પાટુ! ગીરમાં કેસરના આંબામાં ફ્લાવરિંગ બાદ હવે મઘિયા નામનો રોગ આવી ગયો
- આંબામા ફલાવરિંગ બાદ મધિયા નામનો રોગ આવ્યો
- ઈયળ અને મધિયાને લઈ કેસર કેરીના પાકને ભારે નુકશાન
- ખેડુતોને પડ્યા પર પાટું જેવી પરીસ્થિતિ
ગીર-સોમનાથ: ખેડૂતની સ્થિતિ ઘણીવાર એવી થતી હોય છે જેમાં તેને પડ્યાને માથે પાટુ જેવી સ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. કુદરતી આફતોથી રાહત મળે તો નવી સમસ્યા સર્જાઈ જતી હોય છે ત્યારે ગીરમાં પણ કઈક આવું જ થયું જે બાદ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
જાણકારી અનુસાર ગીરની પ્રખ્યાત એવી કેસર કેરીની સીઝન આવી રહી છે. તાલાલા અને ગીર આસપાસના વિસ્તારોમાં કેસરના બગીચાઓમા 50 થી 60 ટકા ફ્લાવરિંગને લઇ ખેડૂતો ચિંતામાં હતા, તો બીજી તરફ રોગચાળો વધતા ખેડુતોને પડ્યા પર પાટું જેવી પરીસ્થિતિ થઈ છે.
કમોસમી વરસાદનો ફટકો પડયા બાદ પણ ખેડુતોને નવી આશા હતી કે આ વર્ષે ભારે માત્રામાં કેસરનું ફલાવરિંગ થશે પરંતુ અચાનક કેસરના આંબા પર ઈયળ અને મધિયા નામનો રોગ આવતા મોર ખરી પડ્યો છે તો સાથે હાલ ગીર અને આસપાસના વિસ્તારોમાં મધિયા નામનો રોગ આવતા ખેડૂતોમાં કકળાટ શરૂ થયો છે.
ખેડૂતો પોતાનો કેરીનો પાક બચાવવા મથી રહયા છે અને બગીચાઓમાં ફૂગ નાશક દવાઓનો છટકાવ શરૂ કર્યો છે લાંબા સમયથી ગીરમાં વધારે પ્રમાણમાં વરસાદ કમોસમી વરસાદ અને હવામાનમાં ફેર બદલને લઈ કેસર કેરીના પાકને ભારે અસર થઈ રહી છે.