અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘાસચારો વેચનાર સામે AMC કરશે કાર્યવાહી
અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરનો ઉપદ્રવ વધ્યો છે. આ મુદ્દે અગાઉ પણ હાઈકોર્ટે મનપાની સામે લાલ આંખ કરી હતી. દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા માટે એકશન પ્લાન તૈયાર કર્યો છે. હવે રખડતા ઢોરના માલિકોને બદલે શહેરના વિવિધ વિસ્તારમાં ઘાસચારો વેચનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. મનપાના આ નિર્ણયથી શ્રમજીવીઓમાં નારાજગી ફેલાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં રખડતા ઢોર મામલે મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં ઘાસચારો વેચનારા શ્રમજીવીઓ સામે હવે કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં ઘાસની લારીઓ પણ જપ્ત કરવામાં આવશે. રખડતા ઢોરના મામલે મનપાના નિર્ણયને પગલે ઘાસચારો વેચતા શ્રમજીવીઓમાં રોષ ફેલાયો છે. રાજ્યના અનેક વિસ્તારો રખડતા ઢોરની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. એટલું જ નહીં રખડતા ઢોરોએ અનેકવાર રાહદારીઓને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવે છે. આ ઉપરાંત રસ્તા ઉપર અડીંગો જમાવતા ઢોરને કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થાય છે.