પેપર લીક અને વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકારે નરેશ પાલ બન્યા નવા શિક્ષણ સચિવ
નવી દિલ્હી, 24 જુલાઈ 2026: દેશની રાજધાની દિલ્હીમાં પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થાના મુદ્દાઓને લઈને ચાલી રહેલા ભારે વિરોધ પ્રદર્શન અને હોબાળા વચ્ચે કેન્દ્ર સરકારે પ્રશાસનિક સ્તરે એક મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળની નિયુક્તિ સમિતિ (ACC) દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર, ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ વિનીત જોશીની અચાનક બદલી કરીને તેમને પંચાયતી રાજ વિભાગમાં મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે તેમની જગ્યાએ 1994 બેચના વરિષ્ઠ આઈએએસ અધિકારી નરેશ પાલ ગંગવારને નવા શિક્ષણ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
નવા શિક્ષણ સચિવ બનેલા નરેશ પાલ ગંગવાર રાજસ્થાન કેડરના અત્યંત અનુભવી આઈએએસ અધિકારી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગમાં સચિવ તરીકે નિમણૂક પામતા પહેલા તેઓ મત્સ્ય પાલન, પશુપાલન અને દૂધ ઉત્પાદન મંત્રાલયના પશુપાલન અને દૂધ ઉત્પાદન વિભાગમાં સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા. ૩૦ વર્ષથી વધુ લાંબા અને ભવ્ય પ્રશાસનિક કારકિર્દી દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર અને રાજસ્થાન સરકારમાં અનેક મહત્વના પદો સંભાળ્યા છે. તેમણે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે પણ કામ કર્યું છે તેમજ રાજસ્થાન સરકારના મુખ્ય સચિવ તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત, વર્ષ 2010 થી 2014 દરમિયાન રાષ્ટ્રીય સૌર મિશનના પ્રારંભિક તબક્કામાં નીતિઓ ઘડવામાં તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
-
વિનીત જોશીની પંચાયતી રાજ વિભાગમાં કરાઈ બદલી
શૈક્ષણિક દ્રષ્ટિએ પણ ગંગવાર ઉત્તમ પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેમણે પ્રખ્યાત આઈઆઈટી રૂડકીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં બી.ટેકની ડિગ્રી મેળવી છે, આઈઆઈટી દિલ્હીમાંથી કમ્યુનિકેશન એન્ડ રડાર ઇજનેરીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે અને સાથે જ રાજસ્થાન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પણ સ્નાતકોત્તર પદવી પ્રાપ્ત કરી છે.
જ્યારે પદ છોડનાર આઈએએસ અધિકારી વિનીત જોશીની વાત કરીએ તો, તેમણે 16 જાન્યુઆરી 2025ના રોજ ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તે અગાઉ તેઓ મણિપુરના મુખ્ય સચિવ તેમજ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) ના મહાનિર્દેશક, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) ના અધ્યક્ષ અને શિક્ષણ મંત્રાલયમાં વધારાના સચિવ જેવા અતિ મહત્વના પદો સંભાળી ચૂક્યા છે. વિનીત જોશી પોતે પણ આઈઆઈટી કાનપુરના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને તેમણે ત્યાંથી મિકેનિકલ ઇજનેરીમાં ડિગ્રી મેળવ્યા બાદ ભારતીય વિદેશ વ્યાપાર સંસ્થાનમાંથી એમબીએ (MBA) કર્યું હતું.


