1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય જ્ઞાન પરંપરામાં વિશિષ્ટ એવા જૈનશાસનમાં “સહસ્ત્રાવધાન” નો અભિનવ પ્રયોગ
ભારતીય જ્ઞાન પરંપરામાં વિશિષ્ટ એવા જૈનશાસનમાં “સહસ્ત્રાવધાન” નો અભિનવ પ્રયોગ

ભારતીય જ્ઞાન પરંપરામાં વિશિષ્ટ એવા જૈનશાસનમાં “સહસ્ત્રાવધાન” નો અભિનવ પ્રયોગ

0
Social Share

– દેવેન્દ્રકુમાર સોલંકી

ભારત પ્રાચીનકાળથી જ્ઞાનની ગંગોત્રી વહાવતું રહ્યું છે. આજે વિજ્ઞાનના પ્રભાવમાં તણાતા રહેતા સમયમાં પણ ભારતનું પરંપરાગત જ્ઞાન સમગ્ર વિશ્વને પોતાની અગાધ શક્તિથી અભિનવ અને અદ્વિતીય પ્રયોગો દ્વારા અચંબિત કરતું રહ્યું છે. ભારતની જ્ઞાન પરંપરા અને શક્તિ તથા તે જ્ઞાનને આગળની પેઢીને અર્પણ કરવાની અનોખી રીત આજે પણ ભારતને વિશ્વમાં અનોખુ અને અદ્વિતીય બનાવે છે. ભારતની અધ્યાત્મિક શક્તિથી તો વિશ્વ પરિચિત છે જ સાથે સાથે આજ અનેક એવા પ્રયોગો થતાં રહેલા છે જેનાથી વિશ્વ ભારતીય આધ્યાત્મ અને ધર્મમાં રહેલા શુદ્ધ વિજ્ઞાનનો પરિચય કરી રહ્યું છે. ભારતીય અધ્યાત્મિક પરંપરા કહે છે આત્મા આધ્યાત્મિક શક્તિઓનો સ્ત્રોત છે. અધ્યાત્મિક યાત્રામાં જે સાધક અગ્રેસર બને છે તેમને અનેક વિશિષ્ટ ઉપલબ્ધીઓ મળે છે. ‘પ્રેરણા’ એમાંની જ એક ઉપલબ્ધી ગણાય છે. ધ્યાન માત્ર શક્તિને તીવ્ર કરવાની પ્રક્રીયા નથી અપિતુ આત્માની સઘળી શક્તિઓના પ્રસારને વધારવાની પ્રક્રીયા છે. આજના ‘આધુનિક’ વિજ્ઞાન અનુસાર એક સામાન્ય વ્યક્તિ પોતાની માનસિક શક્તિના માત્ર 5% થી 10% જેટલો જ ઉપયોગ કરે છે. એકાગ્રતા કરેતી વખતે વાસ્તવમાં પૂર્ણ રૂપથી એકાગ્ર થઈને આપણે આપણી માનસિક શક્તિનો ઉપયોગ કરી શકીએ છીએ.

ભારતીય જ્ઞાન પરંપરાનો એક અનોખો અને વિશિષ્ટ ફાંટો એટલે જૈન પરંપરા. પ્રકૃતિ સાથે સંપૂર્ણ તાદાત્મ્ય સાધીને, પ્રકૃતિને લેશમાત્ર નુકશાન ન થાય તેનું પૂર્ણતયા ધ્યાન રાખીને પોતાનું જીવન નિર્વહન કરતાં જૈન મહારાજ સાહેબો આજની ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની મસમોટી સમસ્યાનો સચોટ, સહજ અને સરળ ઉકેલ રજૂ કરતાં રહ્યા છે. આજે જૈન મહારાજસાહેબો જૈન જ્ઞાન પરંપરાને વિશ્વ સમક્ષ રજૂ કરી રહ્યા છે. જૈન જ્ઞાનના અનેક મૂળ, પર્ણો, ફૂલ અને બીજ છે જે સમય સમય પર વિશ્વને પોતાનો પરિચય કરાવે છે, આ પરંપરાનો એક અદ્ભુત પ્રયોગ એટલે ‘અવધાન’ જ્ઞાન. અવધાન એટલે ધારણા શક્તિનો વિશિષ્ટ વિકાસ.

અવધાન એટલે શું?

વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ, આર્ય એટલે કે શ્રેષ્ઠ લોકોની શ્રેષ્ઠ સંસ્કૃતિ. એ આર્ય સંસ્કૃતિએ સમગ્ર વિશ્વને આપેલી અદ્ભુત, અદ્વિતીય અને અચરજ પમાડતી ભેટ એટલે અવધાન. પ્રત્યેક મનુષ્યને પ્રકૃતિએ ધારણાશક્તિ આપેલી છે તે ધારણા શક્તિનો વિશિષ્ટ વિકાસ એટલે અવધાન. ધારણા શક્તિનો વિશિષ્ટ વિકાસ કરવા માટે યમ-નિયમ અને પરહેજનું કઠોર પાલન કરવાની આવશ્યકતા હોય છે ત્યારે અવધાન શક્તિના આશીર્વાદ પ્રાપ્ત થતાં હોય છે. ધારણા શક્તિ સામાન્ય રીતે ઓછે વત્તે અંશે તમામ લોકોમાં હોય છે. તે આ આત્મશક્તિનો વિશિષ્ટ પ્રાદૂર્ભાવ થવો તે અવધાન છે. જૈન ધર્મના પાંચ જ્ઞાન પૈકી મતિજ્ઞાનના વિશ્વમાં પાંચ ઈન્દ્રિયો અને તેમની ધારણાનો વિષય આવે છે. અવધાન દ્વારા ચિત્ત શક્તિનો વિકાસ થાય છે. જેના દ્વારા શાસ્ત્રોનો ગહન અભ્યાસ ઝડપથી થઇ શકે છે. અટપટા પ્રશ્નોના ઝડપથી ઉકેલ મેળવવાની પણ શક્તિ કેળવાય છે. એક સાથે ઘણા કાર્યો કરવાની શક્તિનો પણ સુંદર વિકાસ થાય છે.

અવધાનમાં શું કરવામાં આવે છે ?

અવધાન એટલે વિશિષ્ટ ધારણા શક્તિનો વિકાસ જુદા જુદા અનેક પ્રકારે કરવો અથવા થવો. દેખેલી કે સાંભળેલી વસ્તુઓ કે પ્રશ્નોને જે ક્રમમાં જોયા કે સાંભળ્યા છે તેને ક્રમસર આત્મચિત્તમાં સ્થિર કરવાની વિશિષ્ટ ધારણાશક્તિના જ્ઞાનપ્રયોગને અવધાન કહે છે. શતાવધાન અને સહસ્ત્રાવધાન એટલે શું? 100 શત એટલે 100 અને અવધાન એટલે ‘સ્મરણમાં રાખવું’ એટલે શતાવધાન, તેવી જ રીતે ક્રમશ: 1000 વસ્તુઓ કે પ્રશ્નોને ચિત્તભાવમાં ક્રમસર સ્થિર કરવાના જ્ઞાનપ્રયોગને સહસ્ત્રાવધાન કહેવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો સામે બેઠેલા હજારો લોકોએ પુછેલા 100 પ્રશ્નો કે બતાવેલી 100 ચીજોને ક્રમસર સ્મરણમાં રાખવા અને તરત ક્રમસર બતાવવા એટલે શતાવધાન અને સામે બેઠેલા હજારો લોકોએ પુછેલા 1000 પ્રશ્નો કે બતાવેલી 1000 ચીજોને ક્રમસર સ્મરણમાં રાખવા અને ક્રમસર બતાવવા એટલે સહસ્ત્રાવધાન. યાદ રાખવાની આ અદ્વિતીય, અદ્ભુત અપૂર્વ વિદ્યા છે જેને જૈન પરંપરા હજારો વર્ષોથી જાણતો અને આગળ વધારતી આવી છે. ઇતિહાસ સાક્ષી છે કે પૂર્વ કાળમાં સાધનાના બળ પર આવી મહાન સિદ્ધિ મેળવી અને તેના પ્રયોગો રાજ દરબારોમાં કર્યા હતા. જૈનશાસનના પૂર્વકાલીન ઇતિહાસમાં 600 વર્ષ પૂર્વે પૂજ્ય આચાર્ય ભગવંત મુનિસુંદરસુરીજી મ.સા.એ રાજાના દરબારમાં સહસ્ત્રાવધાન કર્યા હોવાના ઉલ્લેખ મળે છે. શ્રી સિદ્ધિચંદ્રજી મ.સા. એ જહાંગીરના દરબારમાં શતાવધાનનો પ્રયોગ કર્યો હતો. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. એ અમદાવાદના સુલતાન મહોબ્બતખાનના દરબારમાં અવધાનના ભવ્ય પ્રયોગ કર્યા હતા. હવે આજની 21મી સદીમાં સૌ પ્રથમ શતાવધાન કર્યા હતા તે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત નયનચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મહાશતાવધાની ગણિવર્ય શ્રી અજિતચંદ્રસાગરજી મ.સા. આ મહાન ઇતિહાસનું પુનરાવર્તન કરવા જઈ રહ્યા છે.

મહાશતાવધાની ગણિવર્ય શ્રી અજિતચંદ્રસાગરજી મ.સા. જી નો પરિચય

માત્ર 12 વર્ષની આયુમ દીક્ષા ગ્રહણ કરનાર મહાશતાવધાની ગણિવર્ય શ્રી અજિતચંદ્રસાગરજી મ.સા. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત નયનચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન છે. દીક્ષાની સાથે જ તેમની જ્ઞાન સાધનાનો પણ આરંભ થયો જેમાં 8 વર્ષ સુધી મૌન સાધના દરમિયાન 23 આગમોની 22,000 થી વધુ ગાથાઓ તમણે કંઠસ્થ કરી, જેમાં પ્રતિદિન એક જ સમય ભોજન કરવું એવું એકાસનાનું નિયમિત તપ, આગમોની ટીકાઓનું ગુરુનિશ્રામાં વાચન કરવું, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય જેવા ગ્રંથોનો ગહનતાપૂર્વક અભ્યાસ કર્યો. આ સ્વાધ્યાય સાધનાના તપોબલના પ્રભાવથી તેઓ બન્યા 21મી સદીના સૌપ્રથમ શતાવધાની, મહાશતાવધાની, અર્ધસહસ્ત્રાવધાની. મહાશતાવધાની ગણિવર્ય શ્રી અજિતચંદ્રસાગરજી મ.સા.એ માત્ર 19 જ વર્ષની આયુમાં આત્મશક્તિનો અદ્ભુત ચમત્કારનો પરિચય કરાવતા ગુજરાતના રાજયપાલ, જાદુગર કે. લાલ, ભુતપૂર્વ મુખ્યમંત્રી છબીલદાસ મહેતા સહિત અનેક ગણમાન્ય લોકોની ઉપસ્થિતિમાં 21 સદીમાં સૌ પ્રથમ વખત શતાવધાનનો પ્રયોગ કર્યો હતો. ત્યારબાદ ષણમુખાનંદ હૉલ, મુંબઈમ 3000 લોકોની ઉપસ્થિતિમ 200 અવધાન અને NSCI સ્ટેડિયમમ 500 અવધાનનો અદ્ભુત પ્રયોગ કર્યો હતો જેને નિહાળવા મહારાષ્ટ્રના ચીફ જસ્ટિસ સહિત 15 હાઇકોર્ટના ન્યાયાધીશો અને કોર્પોરેટ ક્ષેત્રના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગણિવર્ય શ્રી અજિતચંદ્રસાગરજી મ.સા.એ સમગ્ર ભારત વર્ષના વિદ્યાર્થીઓની સ્મરણશક્તિ વધે તેવા પવિત્ર અને રાષ્ટ્રભક્તિના ભાવથી સરસ્વતી સાધનાનો પ્રારંભ કર્યો. સરસ્વતી સાધનાનો લાભ લગભગ 50,000 વિદ્યાર્થીઓને મળી ચૂક્યો છે. તેમની સાધના શક્તિ પર વૈજ્ઞાનિક પરીક્ષણ પણ કરવામાં આવ્યું જેનાથી એ પ્રમાણિત થયું કે માત્ર 36 દિવસની સાધનાથી સ્મરણશક્તિમાં અદ્વિતીય સકારાત્મક પરીવર્તન આવી શકે છે. ગણિવર્ય શ્રી અજિતચંદ્રસાગરજી મ.સા. ની આ અદ્ભુત રિસર્ચથી પ્રભાવિત થઈને મેક્સિકોની યુનિવર્સિટીએ તેમને ડોક્ટરેટની ઉપાધિ પ્રદાન કરી. આ ઉપરાંત ફેશન વિસ્ટા મેગેઝિને તેમને ‘ગ્લોબલ આઈકોન’ નું બિરુદ આપ્યું. આજના આ કળીકાળમાં એક જૈન મુનિ પોતાની સમસ્ત મર્યાદાઓનું પાલન કરીને આ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરીને શાસનપ્રભાવના કરે તે ખરેખર ચમત્કાર છે.
આવનારા સમયમાં ગણિવર્ય શ્રી અજિતચંદ્રસાગરજી મ.સા.ની સિદ્ધિમાં એક ઓર યશકલગી ઉમેરવા જઈ રહી છે જ્યારે તેઓ આવનાર 1લી મે ના દિવસે NSCI સ્ટેડિયમ, વરલી, મુંબઈમાં હજારો લોકોની ઉપસ્થિતિમાં સહસ્ત્રાવધાનનો પ્રયોગ કરવાના છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code