પાકિસ્તાનમાં સિંધુ નદીના પશ્ચિમ ભાગથી લઈને સ્કર્દૂ સુધી સૈન્ય પકડ નબળી પડી
ઇસ્લામાબાદ, 18 જુલાઈ 2026: પાકિસ્તાનની આંતરિક સુરક્ષા અને સૈન્ય સંચાલનને લઈને એક અત્યંત ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સિંધુ નદીના પશ્ચિમી સરહદી વિસ્તારોથી લઈને સ્કર્દૂ સુધીના સમગ્ર ક્ષેત્રમાં પાકિસ્તાની સેનાની ઓપરેશનલ કમાન અને નિયંત્રણ વ્યવસ્થા ધ્વસ્ત થઈ ગઈ છે. બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા જેવા સંવેદનશીલ પ્રાંતોમાં સેનાનો પ્રભાવ હવે માત્ર સૈન્ય છાવણીઓ એટલે કે ગેરીસન વિસ્તારો પૂરતો જ સીમિત રહી ગયો છે. સ્થાનિક સ્તરે પેદા થયેલા ગંભીર અવિશ્વાસના વાતાવરણને કારણે પાકિસ્તાની સેનાની 11મી અને 12મી કોરની કમાન પણ હવે બિનઅસરકારક સાબિત થઈ રહી છે. સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરના નેતૃત્વ હેઠળ પાકિસ્તાની સૈન્ય તંત્ર 1971 ના ભારત-પાક યુદ્ધ પછીના સૌથી ગંભીર કમાન્ડ સંકટનો સામનો કરી રહ્યું છે.
બીજી તરફ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoJK) માં છેલ્લા 41 દિવસથી ચાલી રહેલા ઉગ્ર જનવિરોધ પ્રદર્શનોને કારણે ચીન-પાકિસ્તાન આર્થિક ગલિયારા (CPEC) સહિત સૈન્યની ઉત્તરીય સપ્લાય લાઇન પર બહુ મોટી અસર પડી છે. ભૌગોલિક પરિસ્થિતિ અને સતત અવરોધોને કારણે સ્કર્દૂ તરફ જતા તમામ મુખ્ય માર્ગો બંધ થઈ ગયા છે, જેને પરિણામે ચીની માલસામાનથી ભરેલી ટ્રકો ગિલગિત-બાલ્ટિસ્તાન વિસ્તારમાં અટવાઈ પડી છે. આ ગંભીર કટોકટી વચ્ચે ફોર્સ કમાન્ડ નોર્ધન એરિયાઝ (FCNA) અને ૩૪મી લાઇટ ઇન્ફન્ટ્રી ડિવિઝન સુધી જરૂરી સૈન્ય રસ્ડ અને સામગ્રી પહોંચાડવામાં મોટી મુશ્કેલીઓ પડી રહી છે, જેના કારણે સેનાએ હવે હવાઈ સપ્લાય પર નિર્ભર રહેવાની ફરજ પડી છે.
-
બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષા દળો પર 1730 જેટલા હુમલાઓ
રિપોર્ટના આંકડા અનુસાર, 1 જાન્યુઆરી 2024થી અત્યાર સુધીમાં બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષા દળો પર અંદાજે 1730 જેટલા હુમલાઓ નોંધાયા છે, જેમાં 19 મોટા હુમલાઓનો વિશેષ ઉલ્લેખ કરાયો છે. આ હુમલાઓમાં 13 વખત ફ્રન્ટિયર કોર્પ્સ અને સ્થાનિક પોલીસને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જ્યારે 6 વખત સેનાના અનાજ અને દારૂગોળો લઈ જતા કાફલાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે મુશ્કેલ સ્થિતિમાં ફસાયેલા સૈનિકોની મદદ માટે મુખ્ય મથક પરથી કોઈ વધારાની ટુકડીઓ મોકલવામાં આવી નહોતી. જાફર એક્સપ્રેસ પર થયેલા ભીષણ હુમલા બાદ પાકિસ્તાની સેનાએ જોખમી વિસ્તારોમાં સૈનિકો મોકલવાનું લગભગ બંધ કરી દીધું છે, જે સૈનિકોના ઘટેલા મનોબળ અને મર્યાદિત સંસાધનોની ચાડી ખાય છે.
નાણાકીય વર્ષ 2026-27 માં પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ ૧૦.૮ અબજ ડોલર છે, જેમાંથી ૩ અબજ ડોલર માત્ર પેન્શન પાછળ ખર્ચાઈ જાય છે. આ જ કારણે સૈનિકોના રાશનમાં કાપ મૂકવામાં આવ્યો છે અને ભોજનની ગુણવત્તા પણ કથળી છે. દેશ પાસે કોઈ વ્યૂહાત્મક તેલ ભંડાર નથી અને રિફાઇનરીઓમાં પણ મર્યાદિત કટોકટી પૂરતો જ કાચો માલ બચ્યો છે. પરિણામે, સેનાના આતંકવાદ વિરોધી ઓપરેશન જેવા કે ઝર્બ-એ-અઝ્બ, અઝ્મ-એ-ઇસ્તેહકામ અને શાબાન જેવા અભિયાનો કોઈ પણ નિર્ણાયક પરિણામ વિના જ સમેટાઈ ગયા છે, જેનાથી સેનાએ સ્થાનિક વસતીનું સમર્થન ગુમાવ્યું છે.


