પાકિસ્તાનમાં પેશાવર નજીક 2200 વર્ષ જૂનું તીર-ધનુષ્ય, તલવાર બનાવવાનું કારખાનું મળ્યું
પેશાવર: પેશાવર યુનિવર્સિટીના પુરાતત્વવિદે કહ્યુ છે કે તેમને ઈન્ડો-ગ્રીક સમયગાળાનું ધાતુના કારખાનાના અવશેષોની જાણકારી મળી છે. ઈસ્વીસન પૂર્વે બીજી સદીની યૂનાની સભ્યતાના આ અવશેષો છે. ડૉન ન્યૂઝના એક અહેવાલ મુજબ, પ્રોફેસર ગુલ રહીમે ગુરુવારે જણાવ્યુ કે આ શોધ પેશાવરની નજીકના હયાતાબાદ નજીક કરવામાં આવી છે. તે ખબર જિલ્લાની સીમા નજીક છે. તેમણે આગળ એમ પણ કહ્યુ હતુ કે અહીં ખોદકામનું કામ ગત ત્રણ વર્ષોથી ચાલી રહ્યું હતું.
ગુલ રહીમે કહ્યુ છે કે તેમને ઈન્ડો-ગ્રીક સમયગાળાના કેટલાક સિક્કા મળ્યા છે અને એવું અનુમાન છે કે આ 2200 વર્ષ જૂના છે. તેઓ આગળ કહે છે કે ઈન્ડો-ગ્રીક અફઘાનિસ્તાનથી આવીને હાલના પેશાવરમાં વસવાટ કરવા લાગ્યા હતા અને તેમણે આ વિસ્તાર પર લગભગ 150 વર્ષો સુધી શાસન કર્યું હતું.
રહીમે કહ્યુ છે કે મળેલા અવશેષોથી એ જાણકારી મળે છે કે ત્યાં ધાતુના કારખાના જેવી કોઈ વસ્તુ હશે, કારણ કે ત્યાંથી લોઢું પિગળાવનારા વાસણ, છરી, ડ્રિલ્સ અને ટ્રોવેલ્સ મળ્યા છે. તેનો ઉપયોગ મુખ્યત્વે કારખાનામાં જ થાય છે. અવશેષોને જોતા એવું લાગે કે કારખાનામાં તીર, ધનુષ, ખંજર અને તલવાર બનાવવામાં આવતા હતા.
રહીમે કહ્યુ છે કે આ રાજ્યમાં કોઈ સંગઠિત ઈન્ડો-ગ્રીક કારખાની અત્યાર સુધીની આ પહેલી શોધ છે. પેશાવર યુનિવર્સિટીમાં એમફિલના સ્ટૂડન્ટ જાન ગુલે કહ્યુ છે કે આ પહેલો મોકો છે, જ્યારે સ્ટૂડન્ટ્સને ઈન્ડો-ગ્રીક અવશેષ જોવા મળ્યા છે. આના પહેલા માત્ર બૌદ્ધ અને મુઘલકાળના અવશેષો સંદર્ભે જ ભણાવવામાં આવતું હતું.