નવી દિલ્હીઃ આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનની જનતા અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે, બીજી તરફ તાજેતરમાં કેટલાક જજોએ સર્વોચ્ચ અદાલતને પત્ર લખીને આઈએસએસના અધિકારીઓ કેટલાક કેસોમાં દબાણ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાગી હોય તેમ હત્યા સહિતના ગંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન ખૈબર પખ્તુનખ્વામાં કેટલાક શખ્સોએ ન્યાયધીશનું અપહરણ કર્યાની ઘટના સામે આવતા સુરક્ષા દળો દોડતા થઈ ગયા છે. તેમજ ન્યાયધીશને શોધી કાઢવા માટે કાર્યવાહી તેજ કરી છે. બીજી તરફ આ ઘટનાને પગલે કોર્ટના ન્યાયમૂર્તિઓમાં પોતાની સુરક્ષાને લઈને ભય ફેલાયો છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સશસ્ત્ર બદમાશોએ જિલ્લા અને સત્ર ન્યાયાધીશનું અપહરણ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે, જજ શકીરુલ્લા મારવતનું અફઘાનિસ્તાનની સરહદે આવેલા ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લા નજીકથી અપહરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ડીએસપી મોહમ્મદ અદનાનનું કહેવું છે કે, અપહરણની આ ઘટના બગવાલ ગામ પાસે બની હતી. જજ ફરજ પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. ન્યાયાધીશના ડ્રાઈવરને કોઈ નુકસાન થયું નથી અને સ્થળ પરથી વાહન પણ મળી આવ્યું છે. પોલીસે કહ્યું કે હજુ સુધી કોઈએ જજના અપહરણની જવાબદારી લીધી નથી.
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના કેન્દ્રીય માહિતી સચિવ ફૈઝલ કરીમ કુંડીએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું છે કે, શાંતિ અને વ્યવસ્થા પ્રત્યે ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુરની બેદરકારીને કારણે આ ઘટના બની છે. કુંડીએ સવાલ કર્યો હતો કે મુખ્યમંત્રી રાજ્યમાં શાંતિને લઈને ગંભીરતા કેમ નથી લઈ રહ્યા? તેમણે કહ્યું કે જજના અપહરણના સમાચારથી લોકોમાં અસુરક્ષાની લાગણી જન્મી છે.
દરમિયાન, ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય પ્રધાને ન્યાયાધીશની સલામત પુનઃપ્રાપ્તિ માટે સૂચનાઓ જારી કરી છે. તેમણે કહ્યું કે મારવતને શોધવા માટે કટોકટીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને તમામ ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘટનાની નિંદા કરતા સીએમ અમીન ગાંડાપુરે કહ્યું કે અપહરણમાં સામેલ લોકો કાયદાથી બચી શકે નહીં.
દરમિયાન, પેશાવર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઈશ્તિયાક ઈબ્રાહિમે અન્ય બે ન્યાયાધીશો સાથે પ્રાંતમાં વરિષ્ઠ ન્યાયાધીશોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઈમરજન્સી બેઠક બોલાવી છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિરીક્ષક અખ્તર હયાત ખાને બેઠકમાં હાજરી આપી હતી. જિલ્લા વહીવટીતંત્રને ન્યાયાધીશની સમયસર પુનઃપ્રાપ્તિ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.