જુનાગઢઃ આજથી સાસણ ગીર જંગલ અને ગિરનાર નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. ચોમાસાની સીઝનમાં ચાર માસના વેકેશન બાદ આજથી ગીર અભયારણ્ય અને ગિરનાર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવતા પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવી રહ્યા છે. પ્રવાસીઓ ઓનલાઇન વેબ સાઇટ પર પરમીટ બુક કરાવી ગીર અને ગિરનાર અભયારણ્યમાં સિંહ દર્શન કરી શકશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ચોમાસાની સિઝન અને સિંહ સહિતના પ્રાણીઓના સંવનનકાળના લીધે પ્રાણીઓને ખલેલ ન પહોંચે અને ચોમાસામાં જંગલના રસ્તા જઈ શકાય તેવા હોતા નથી. આથી સાસણ ગીર અભયારણ્ય 15મી જૂનથી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યુ હતું. ચોમાસુ પૂર્ણ થતા ગીર અભયારણ્ય અને ગિરનાર જંગલમાં નેચર સફારી પાર્ક તેના નિયત રૂટ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. વન્ય વિભાગ દ્વારા પ્રવાસીઓ પ્રવેશી શકે તે માટે ઓનલાઇન ટિકિટનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે જેને લઇ પ્રવાસીઓમાં પણ ચાર માસ બાદ ફરીથી સિંહ સદન ખુલ્લુ મુકવામાં આવતા વરસાદ બાદ લીલીછમ વનરાઈઓ અને પ્રાકૃતિક વાતાવરણ તથા એશિયાટીક સિંહો ઉપરાંત સાસણ ખાતે અન્ય વન્ય સૃષ્ટિઓનો પણ નજારો જોવા મળી રહ્યો છે. ગીર અભયારણ્ય, સાસણ-ગીર અને નેચર સફારી પાર્ક માટે ઓનલાઇન પરમીટ બુકીંગ વેબસાઇટ પરથી બુક કરી શકાશે. સિંહ દર્શન કરવા જતા પ્રવાસીઓએ સરકારે જાહેર કરેલી કોરોનાની ગાઈડ લાઈન મુજબ માસ્ક,સોસીયલ ડિસ્ટન્સ સહિતની બાબતનું પાલન કરવાનું રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 36 કિ.મી.ના રૂટ પર પ્રવાસીઓને વરસાદ બાદ પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે વન્યસૃષ્ટિ ઓ નો માહોલ જોવાનો અનોખો નજારો મળશે જેને લઈ વનવિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આજથી સફારી પાર્ક ખુલ્લી જીપમાં પ્રવાસીઓને જંગલની વન્યસૃષ્ટિ તથા પ્રાકૃતિક સૌંદર્યનો નજારો જોવાનો અનોખો લાભ મળશે.