1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોગ્રેસમાં વિધાનસભા ચૂંટણીની ટિકિટ માટે દાવેદારોની વણઝાર, કિસાન કોંગ્રેસે 8 ટિકિટ માગી
કોગ્રેસમાં વિધાનસભા ચૂંટણીની ટિકિટ માટે દાવેદારોની વણઝાર, કિસાન કોંગ્રેસે 8 ટિકિટ માગી

કોગ્રેસમાં વિધાનસભા ચૂંટણીની ટિકિટ માટે દાવેદારોની વણઝાર, કિસાન કોંગ્રેસે 8 ટિકિટ માગી

0
Social Share

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. એકાદ મહિનામાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની વિધિવત જાહેરાત પણ થઈ જશે. ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત ચાલી રહી છે. ત્યારે પક્ષમાં ટિકિટના દાવેદારોની વણઝાર લાગી ગઈ છે. યુવક કોંગ્રેસ, એનએસયુઆઈ. મહિલા કોંગ્રેસ, કિસાન કોંગ્રેસ, સેવાદળના નેતાઓ તેમજ પ્રદેશ કોંગ્રેસના મોટાભાગના નેતાઓ ટિકિટ માટે દબાણ કરી રહ્યા છે. કિસાન કોંગ્રેસના આઠ નેતાઓએ તો ટિકિટ મેળવવા માટે દાવો પણ રજુ કરી દીધો છે. ત્યારે કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગીનું કામ કઠિન બની ગયું છે. કારણ કે કોઈ નેતાઓને નારાજ કરવાનું પરવડી શકે તેમ નથી,

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મિશન 2022 માટે ગુજરાત કોંગ્રેસ હવે લોકોના ઘરે ઘરે પહોંચશે. કોંગ્રેસ આઠ વચન સાથે દોઢ કરોડ પત્રિકાનું વિતરણ કરશે. પરંતુ દર વખતની જેમ આ વખતે પણ ટિકીટની વહેંચણીમાં અનેક હોદ્દેદારો દાવાઓ કરી રહ્યા છે. ગુજરાત કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ કોંગ્રેસ પાસે ટિકીટની માંગણી કરી છે. જે આઠ હોદ્દેદારોએ ટિકીટની માંગણી કરી છે તેમાં દ્વારકા બેઠક પર પાલ આંબલીયાએ ટિકીટ માંગી છે. પાલ આંબલીયા ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ છે. ત્યારબાદ કાલાવડ બેઠક પર ગિરધર વાઘેલાએ દાવેદારી નોંધાવી છે, ગિરધર વાઘેલા કિસાન કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ છે. તેવી રીતે મોરબી બેઠક પર કાંતિલાલ બાવરવાએ ટિકીટ માંગી છે. કેશોદ બેઠક પર મનીષ નંદાણીયાએ દાવેદારી નોંધાવી છે. સાણંદ બેઠક પર મહાદેવ વાઘેલાએ ટિકિટ માંગી છે, જસદણ વીંછિયા બેઠક પર વિનુભાઈ ધડુકે દાવેદારી નોંધાવી છે.  જ્યારે પાલનપુર બેઠક પર ભરત કરેણએ ટિકીટ માંગી છે તેમજ  જેતપુર બેઠક પર ચેતનભાઈ ગઢીયાએ ટિકીટની માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  કોંગ્રેસ મિશન 2022માં 125 લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે. ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. આજે કોંગ્રેસ કાર્યલાય ખાતે પ્રદેશ કારોબારી બેઠક મળી હતી. જેમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપેલા આઠ વચન જન જન સુધી લઇ જવાની રણનીતિ બનાવવામાં આવી છે. કોંગ્રેસ નાગરિક અધિકાર પત્ર લઇ પ્રજા સમક્ષ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ રાજકીય પાર્ટીઓએ  મતદારોને આકર્ષવાની સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે તો ગુજરાતમાં ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. કારણ કે આ વખતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની સાથે-સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ પાર્ટી ગુજરાતની સત્તામાંથી બહાર છે. ત્યારે કોંગ્રેસે આ વર્ષે ચૂંટણી પહેલા તમામ રણનીતિ તૈયાર કરી દીધી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code