અયોધ્યા:શ્રીરામજન્મભૂમિ માર્ગ આજથી ભક્તો માટે ખુલશે,નવા રૂટ પર ટ્રસ્ટ તરફથી અનેક નિ:શુલ્ક સુવિધાઓ
- આજથી ભક્તો માટે ખુલશે શ્રીરામજન્મભૂમિ પથ
- નવા રૂટ પર ટ્રસ્ટ તરફથી અનેક નિ:શુલ્ક સુવિધાઓ
અયોધ્યા: રામલલાના દર્શનાર્થીઓ માટે રવિવારે નવા દર્શન માર્ગનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. જૂના દર્શન માર્ગમાં ફેરફાર કરીને હવે આ નવા માર્ગ દ્વારા ભક્તો રામલલાના દર્શન કરવા માટે પરિસરમાં પ્રવેશી શકશે. બાંધકામના કામોમાં ઝડપ લાવવા માટે રંગમહેલ બેરીયર પાસેથી પસાર થતો જુનો રસ્તો બંધ કરવામાં આવશે.
30 જુલાઈએ રામલલાના દર્શન માટે નવો રૂટ શરૂ થશે. આ પછી ભક્તો 566 મીટર લાંબા શ્રી રામ જન્મભૂમિ માર્ગ દ્વારા રામલલાના દર્શન કરી શકશે. 39 કરોડનો આ રોડ લગભગ દોઢ વર્ષમાં પૂરો થયો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રામ જન્મભૂમિ દર્શન માર્ગના ઉદ્ઘાટન પ્રસંગે આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે રામલલાનો નવો દર્શન માર્ગ શ્રી રામ જન્મભૂમિ પથ બિરલા ધર્મશાળાથી સીધો રામલલાના દરબારમાં પહોંચવાનો સૌથી નજીકનો અને સૌથી અનુકૂળ માર્ગ છે. ટ્રસ્ટ દ્વારા આ રૂટ પર પીવાના પાણી, લોકર, આરામ અને મેડિકલ વગેરેની મફત સુવિધા પહેલાથી જ બનાવવામાં આવી છે.
આ ભવ્ય રૂટને ફૂલોથી શણગારવામાં આવશે. ડિવિઝનલ કમિશનર ગૌરવ દયાલે આ માટે વન વિભાગ અને અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીને સૂચના આપી છે. આ ઉપરાંત આ માર્ગ પર ભવ્ય રોશની પણ ગોઠવવામાં આવી છે. પિંક સેન્ડ સ્ટોન માંથી બનેલા આ માર્ગને ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યો છે. તેની પહોળાઈ લગભગ 100 ફૂટ રાખવામાં આવી છે. રામલલાની આરતી માટે નજીકની સુવિધાનું કાઉન્ટર પણ આ માર્ગ પર છે.