ખેડૂતોને મોટી રાહત, સિંચાઈ માટે 20 એપ્રિલ સુધી સિંચાઈ માટે પાણી મળશે
ગાંધીનગર, 28 માર્ચ 2026: રાજ્યમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત વચ્ચે નાગરિકો અને જગતના તાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે વિશ્વાસ અપાવ્યો છે કે ચાલુ વર્ષે રાજ્યમાં પીવાના પાણી કે સિંચાઈ માટે કોઈ તંગી સર્જાશે નહીં. મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના જળાશયોમાં પૂરતો જળજથ્થો ઉપલબ્ધ હોવાથી ઉનાળામાં પાણીની સમસ્યા નહિવત રહેશે.
રવિ પાકની ખેતી કરતા ખેડૂતોના હિતમાં સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. અગાઉના આયોજન મુજબ સિંચાઈ માટે ૩૦ માર્ચ સુધી પાણી આપવાનું નક્કી કરાયું હતું, પરંતુ ખેતીના પાકને હજુ પાણીની જરૂરિયાત હોવાનું ધ્યાને રાખીને આ મુદ્દત લંબાવીને ૩૦ એપ્રિલ કરવામાં આવી છે. આ નિર્ણયથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના હજારો ખેડૂતોના પાકને જીવનદાન મળશે અને આર્થિક ફાયદો થશે.
જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે સરકારે નર્મદા જિલ્લા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નર્મદાના જૂની જાવલી ગામે રૂ. 500 કરોડના ખર્ચે નવા ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટથી આસપાસના અનેક ગામોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. ડેડીયાપાડા અને ગંગાપુર જેવા ડુંગરાળ વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રોજેક્ટના અમલીકરણ માટે વન વિભાગની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે, જે મળતા જ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થશે.
મંત્રી ઈશ્વર પટેલે વધુમાં ઉમેર્યું કે, ઉનાળા દરમિયાન ખાસ કરીને ઉંચાણવાળા અને અંતરિયાળ વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાય નહીં તે માટે પાણી પુરવઠા વિભાગ સજ્જ છે. અત્યાધુનિક ટેકનોલોજી અને નવા આયોજન દ્વારા દરેક ગામના છેવાડાના ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ઈરાન યુદ્ધમાં હવે યમનની એન્ટ્રી, ઇઝરાયલના પરમાણુ કેન્દ્ર નજીક હૂતીઓનો બેલેસ્ટિક મિસાઈલ હુમલો


