
રાજકોટઃ સ્વાતંત્રપર્વ 15મી ઓગસ્ટને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે લોકોમાં રાષ્ટ્ર પ્રેમની ભાવના ઉજાગર બને તે માટે દર વખતની જેમ આ વખતે પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા.10 ઓગસ્ટના રોજ રાજકોટ ખાતેથી ‘તિરંગાની આન, બાન અને શાન’ થીમ સાથે હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે. કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને ‘હર ઘર તિરંગા’ યાત્રાના આયોજન સંદર્ભે જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
રાજકોટ શહેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાનારી હર ઘર તિરંગા યાત્રામાં રાજકોટવાસીઓ દેશભક્તિના રંગે રંગાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.10મીને શનિવારે રાજકોટ ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે. સમગ્ર રાજકોટ જિલ્લામાં આગામી તા.10 ઓગસ્ટથી તા.14 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા યોજાશે. આ સંદર્ભે જિલ્લા કલેકટર કચેરીમાં બેઠક યોજવામાં આવી હતી જેમાં કલેક્ટર પ્રભવ જોશીએ સુચના આપી હતી કે, લોકોમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવના વિકસે તે પ્રકારે માહોલ બનાવવા આયોજન કરવું, જુદી જુદી કચેરીઓએ ટેબ્લોનું નિદર્શન કરવું, ગ્રામ્ય, તાલુકા તથા શહેરી વિસ્તારમાં વોર્ડ મુજબ ટીમવર્ક સાથે કામગીરી કરી વધુને વધુ લોકો આ પર્વમાં જોડાઈ તે માટે કાર્યરત રહેવા અધિકારીઓને તાકીદ કરી હતી.
આ ઉપરાંત જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ યાત્રા અંતર્ગત લોકો પોતાના ઘરે તિરંગો લહેરાવે, જીઆઇડીસી વિસ્તાર, સહકારી મંડળીઓ, તમામ દુકાન ધારકો, વેપારીઓ, સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટી, વિવિધ સંસ્થાઓ સહિત સમગ્ર જિલ્લાવાસીઓ હર ઘર તિરંગા યાત્રામાં જોડાઈને પોતાના ઘર તેમજ કામના સ્થળે તિરંગો લહેરાવે તેવી અપીલ પણ કલેકટર દ્વારા કરવામા આવી હતી. તિરંગાની સાઈઝ તેમજ કાપડ ફ્લેગકોડ મુજબ હોવું જોઈએ તેમ કલેક્ટરે જણાવ્યું હતું. આ તકે વિડિયો કોન્ફરન્સથી જોડાયેલા પ્રાંત અધિકારીઓ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓને કલેકટરે માર્ગદર્શન આપ્યું હતું. (file photo)